બનાસકાંઠા જિલ્લાના ગઢ ગામ ખાતે આયોજિત સરદાર પટેલની પ્રતિમાનાં અનાવરણ કાર્યક્રમ દરમિયાન પાટીદાર અગ્રણી અનાર પટેલે સમાજમાં વધી રહેલા દારૂના દૂષણ અને પ્રેમલગ્નોના મુદ્દે ખુલ્લેઆમ ચિંતા વ્યક્ત કરી હતી. સમાજને સંબોધતા અનાર પટેલે ખાસ કરીને યુવાનોમાં વધતી બેદરકારી અને પરિવારમાં સંસ્કારના અભાવ મુદ્દે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી.
“માત્ર દીકરીઓને સમજાવવાથી નહીં ચાલે”
અનાર પટેલે કહ્યું કે સમાજમાં માત્ર દીકરીઓને જ સલાહ અને નિયંત્રણ આપવાની માનસિકતા બદલવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે દીકરાઓને પણ જવાબદારી, સંસ્કાર અને વ્યવહાર શીખવવો એટલો જ જરૂરી છે. તેમણે કહ્યું, “જો આપણો છોકરો દારૂ પીતો હોય, રખડતો હોય અને કોઈ કામધંધો ન કરતો હોય તો દીકરીઓ બીજા સમાજમાં કેમ નહીં જાય?” તેમના આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
દારૂના દૂષણ પર કડક ટિપ્પણી
અનાર પટેલે યુવાનોમાં વધતા દારૂના પ્રભાવ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે યુવતીઓને પણ પરિવાર અને સમાજ સુધારામાં સક્રિય બનવા અપીલ કરી. તેમણે કહ્યું, “ઘરમાં ભાઈ દારૂ પીને આવે તો તેનો વિરોધ કરો. જરૂર પડે તો તેને ઘરની બહાર કાઢજો.” તેમણે દારૂના દૂષણને સમાજ માટે ગંભીર ખતરો ગણાવ્યો અને પરિવારોને બાળકોના સંસ્કાર પર વધુ ધ્યાન આપવા અપીલ કરી.
પ્રેમલગ્ન મુદ્દે પણ સ્પષ્ટ વલણ
અનાર પટેલે પ્રેમલગ્નોના વધતા પ્રમાણ અંગે પણ સમાજની એકતરફી માનસિકતાની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે સમાજમાં ઘણી વખત માત્ર દીકરીઓને જવાબદાર ગણવામાં આવે છે, જ્યારે દીકરાઓની ભૂમિકા પણ એટલી જ મહત્વપૂર્ણ હોય છે. “દીકરીઓને સલાહ આપીએ છીએ, પણ દીકરાઓને કેમ નહીં? સમાજને બગાડવામાં તેમની જવાબદારી પણ છે,” એમ તેમણે સ્પષ્ટ જણાવ્યું.
સમાજમાં ચર્ચાનો માહોલ
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. અનાર પટેલના નિવેદનો બાદ સમાજમાં યુવાનોના સંસ્કાર, દારૂના દૂષણ અને બદલાતી સામાજિક માનસિકતા અંગે ચર્ચાનો માહોલ સર્જાયો છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





