વઢવાણા તળાવ, જે ડભોઇ તાલુકોમાં આવેલું છે, વિદેશી પક્ષીઓ માટે જાણીતું સ્થળ માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે અહીં આવતા પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તાજેતરની ગણતરી મુજબ વર્ષ 2026માં વઢવાણા તળાવમાં કુલ 47,700 પક્ષીઓ નોંધાયા છે, જે 2022ની સરખામણીએ લગભગ અડધા જેટલા છે. વર્ષવાર આંકડા પર નજર કરીએ તો 2022માં 95,000, 2023માં 50,000, 2024માં 54,171, 2025માં 29,189 અને 2026માં 47,700 પક્ષીઓ નોંધાયા છે. આ વર્ષે વિવિધ પ્રજાતિના પક્ષીઓમાં ગ્લોસી આઈબિસ આશરે 9,000, કોમન ફૂટસ 12,370, નોર્ધન પિનટેઇલ 9,800, નોબબિલ્ડ ડક 8,000, રડી શેલડક 7,450 અને ગ્રેલેગ ગીસ 3,300 જેટલા નોંધાયા છે.
વિશેષ નોંધનીય છે કે વઢવાણા તળાવને અગાઉ રામસર સાઈટ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે, જે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ બનાવે છે. તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. વન વિભાગના સૂત્રો મુજબ આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ તળાવના પાણીના સ્તરમાં થતા વધારા-ઘટાડા છે. વઢવાણા તળાવ સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતું હોવાથી પાણીનું સ્તર નિયંત્રિત રાખવું પડે છે, જ્યારે વિદેશી પક્ષીઓને ખોરાક માટે ઓછું પાણી વધુ અનુકૂળ હોય છે.
પાણીની સપાટીમાં સતત ફેરફાર થતા પાણીમાં ઉગતા છોડ પણ નાશ પામે છે, જે અનેક પક્ષીઓ માટે ખોરાકનું મુખ્ય સ્ત્રોત છે. પરિણામે પક્ષીઓ અન્ય સ્થળો તરફ વળે છે. વન વિભાગ દ્વારા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગને શિયાળામાં પાણીનું સ્તર સ્થિર રાખવા અપીલ કરવામાં આવી છે. સાથે જ આવનારા વર્ષોમાં વધુ પક્ષીઓ આકર્ષાય તે માટે યોગ્ય પર્યાવરણ ઉભું કરવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





