ડાયરા કલાકાર દેવાયત ખવડ અને અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. બંને પક્ષોએ પરસ્પર સમાધાન કરીને એકબીજાને મીઠાઈ ખવડાવી મામલાને પૂર્ણવિરામ આપ્યું છે. આ સમાધાન બાદ લાંબા સમયથી ચર્ચામાં રહેલો વિવાદ હવે શાંત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટના રોજ ગીર સોમનાથ જિલ્લામાં ધ્રુવરાજસિંહ પર હુમલાની ઘટના બની હતી. આ ઘટનાના મૂળમાં અગાઉ થયેલી તકરાર જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. દેવાયત ખવડ એક ડાયરાના કાર્યક્રમમાં હાજર ન રહેતા બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો, જે બાદ મામલો ગંભીર બન્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામ નજીક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો થયો હતો. તેમની ફોર્ચ્યુનર કારને કિયા કાર સાથે ટક્કર મારવામાં આવી હતી, જેના કારણે તેઓ ઘાયલ થયા હતા. આ ઘટના પાછળ છ મહિના પહેલા થયેલી જૂની માથાકૂટ કારણભૂત હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
અમદાવાદના સનાથલ ખાતે 20 ફેબ્રુઆરીએ યોજાયેલા ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેમની કાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિત ચાર અન્ય લોકો સામે ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ, આ કેસના એક આરોપી ભગવતસિંહે દેવાયત ખવડ સામે ₹8 લાખની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી હતી.
પોલીસ કાર્યવાહી અને તપાસ
પોલીસ તપાસ મુજબ ધ્રુવરાજસિંહ ચૌહાણ તેમના ત્રણ મિત્રો સાથે ચિત્રાવડ ગામની કૃષ્ણા હોટલમાં રોકાયા હતા. તેમણે ગીરમાં હાજરી અંગે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂક્યું હતું, જેના આધારે દેવાયત ખવડ અને તેમના સાથીઓએ રેકી કરીને હુમલો કર્યો હોવાનું મનાય છે. આ મામલે પોલીસે જરૂરી કાર્યવાહી પણ કરી હતી.
હવે બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં લાંબા સમયથી ચાલતો વિવાદ સમાપ્ત થયો છે, જેના કારણે મામલો શાંત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






