મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે
વિશ્વ ગુજરાતી સમાજના ‘વિશ્વમેળો’ના નવસંચાર વિશેષાંક તેમજ નવી અદ્યતન વેબસાઈટનું લોન્ચિંગ

—
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી ભાષા અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓની વિવિધ સિદ્ધિઓને પ્રતિબિંબિત કરતી અવનવી વાંચનસામગ્રીથી ભરપૂર ‘વિશ્વમેળો’ નવસંચાર વિશેષાંક અને નવી વેબસાઈટનું ઉદ્ઘાટન ગાંધીનગર ખાતે લોંન્ચિંગ કર્યુ હતું.
વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા પ્રકાશિત ‘વિશ્વમેળો’ નવસંચાર વિશેષાંકમાં ગુજરાતી ભાષા-સંસ્કૃતિના સંવર્ધન, વૈશ્વિક સ્તરે ગુજરાતીઓની સિદ્ધિઓ અને સમાજના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે.
આ નવસંચાર પામેલા સામયિકમાં હવે વાચકોને નૂતન વિચારો, નવી પહેલો, નવા વિભાગો અને અવનવી માહિતી જાણવા મળશે. તેમજ ગુજરાતી સંગઠનો અને વિવિધ સમાજોના સમાચારો જાણવા મળશે. એટલું જ નહીં, યુવા વર્ગ, મહિલા વર્ગ, વ્યાપારી વર્ગ અને જુદા જુદા ક્ષેત્ર માટે ઉપયોગી સામગ્રી ‘વિશ્વમેળો’ના અંકોમાં સમાવેશ કરાશે.
વિશ્વ ગુજરાતી સમાજની નવી અદ્યતન વેબસાઈટ વિશ્વભરના ગુજરાતીઓને એક મંચ પૂરું પાડશે. જેના માધ્યમથી સમાજના સભ્યો વચ્ચે વધુ સારું જોડાણ અને જાણકારીનો પ્રવાહ સરળ બનશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ગુજરાતી સંસ્કૃતિ અને ભાષાના સંરક્ષણ તેમજ પ્રસાર-પ્રચાર માટે વિશ્વ ગુજરાતી સમાજના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે આવી પહેલોને ગુજરાતની વૈશ્વિક ઓળખને મજબૂત કરવામાં મહત્વનું યોગદાન આપનારી ગણાવી હતી.
વિશ્વ ગુજરાતી સમાજના નવનિયુક્ત પ્રમુખ શ્રી ભાવેશ લાખાણીએ ગુજરાતી સમાજને સંગઠિત અને સશક્ત બનાવવા માટેના તેમના વિઝન વિશે માહિતી આપી હતી.
આ અવસરે શ્રી મહેન્દ્રભાઈ શાહ, શ્રી સુધીર રાવલ, શ્રી યોગેશભાઈ લાખાણી, શ્રી નયનભાઈ પરીખ, શ્રી મનીષભાઈ શર્મા, શ્રી બિપિનભાઈ સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.





