સુપ્રીમ કોર્ટે યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાને રાહત આપી અને તેમની ધરપકડ અને આ કેસમાં નવી એફઆઈઆર નોંધવા પર રોક લગાવી દીધી છે.. જોકે, સુનાવણી દરમિયાન, કોર્ટ રણવીર અલ્હાબાદિયા પર ખૂબ જ કડક દેખાઈ. એટલું જ નહીં, જ્યારે રણવીરના વકીલ અભિનવ ચંદ્રચુડે પોતાનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોર્ટે તેમને કડક સ્વરમાં પૂછ્યું કે શું તેઓ આવી ભાષાનો બચાવ કરી રહ્યા છે. જ્યારે વકીલે ધમકીઓનો ઉલ્લેખ કર્યો, ત્યારે કોર્ટે કહ્યું કે ધમકીઓ આપનારાઓને પણ રણવીરની જેમ સમાચારમાં રહેવામાં રસ હશે.
લાઈવ લોના અહેવાલ મુજબ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટિશવરની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી. કોર્ટે રણવીર અલ્હાબાદિયાને ઠપકો આપ્યો અને કહ્યું કે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શો દરમિયાન તેણે જે વાતો કહી હતી તે અત્યંત શરમજનક હતી. તેના કારણે તેના માતાપિતા અને બહેનો શરમ અનુભવશે. તેણે રણવીર અલ્હાબાદિયાને એમ પણ કહ્યું કે તેણે તેના માતાપિતાને જે પરિસ્થિતિમાં મૂક્યા છે તેના પર તેને શરમ આવવી જોઈએ. રણવીર અલ્હાબાદિયાના વકીલે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે, આખા શોમાંથી થોડીક સેકન્ડની ક્લિપ કાપીને જાહેર કરવામાં આવી હતી, જેના કારણે ફરીથી વિવાદ ઉભો થયો છે.
ન્યાયાધીશ એડવોકેટ અભિનવ ચંદ્રચુડના આ દલીલ સાથે સહમત ન થયા અને કહ્યું કે તેમણે તેમના ક્લાયન્ટના નિવેદનોનો બચાવ ન કરવો જોઈએ. ન્યાયાધીશ સૂર્યકાંતે વકીલને એવો પણ પ્રશ્ન કર્યો કે શું તેઓ આવી ભાષાનો બચાવ કરી રહ્યા છે. વકીલે ન્યાયાધીશને કહ્યું કે તેઓ સંમત છે કે શોમાં રણવીર અલ્હાબાદિયા દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી ભાષા અભદ્ર છે, પરંતુ તેમનો પ્રશ્ન એ છે કે શું તે ફોજદારી ગુનો છે. તેમણે આ પ્રશ્ન અપુર્વા અરોરા કેસનો ઉલ્લેખ કરીને પૂછ્યો હતો. અપૂર્વ અરોરા કેસના ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે અપશબ્દો બોલવા એ પોતે અશ્લીલતા નહીં હોય.
ન્યાયાધીશ સૂર્યકાંત વકીલની આ દલીલો સાથે સહમત ન થયા અને કહ્યું, ‘જો આ અશ્લીલતા નથી, તો પછી અશ્લીલતા શું છે?’ શું અપૂર્વ અરોરા કેસનો ચુકાદો કંઈપણ કહેવાનો પરવાનો આપે છે? વકીલે એમ પણ કહ્યું કે રણવીરને ધમકીઓ મળી રહી છે કે જે વ્યક્તિ તેની જીભ કાપી લાવશે તેને ઇનામ આપવામાં આવશે. ન્યાયાધીશે કહ્યું કે રણવીર અલ્હાબાદિયાને સમાચારમાં રહેવાનો શોખ છે અને જે વ્યક્તિ ધમકીની જાહેરાત કરી રહ્યો છે તેને પણ આ શોખ હોઈ શકે છે. મહત્વનું છે કે યુટ્યુબ શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના એક એપિસોડમાં રણવીર અલ્હાબાદિયાની ટિપ્પણીઓ પર ઘણા રાજ્યોમાં FIR દાખલ કરવામાં આવી છે. ૧૬ ફેબ્રુઆરીએ રણવીરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને બધી એફઆઈઆરને મર્જ કરવાની અપીલ કરી હતી, તેમની અરજી પર મંગળવારે સુનાવણી થઈ હતી.






