કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતનાં પ્રવાસે છે. ત્યારે અમિત શાહ 16 જાન્યુઆરી, 2025ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ (પુરાતત્વ અનુભવ સંગ્રહાલય), પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા વિકાસકાર્યો પૂર્ણ થવાથી વડનગરની મુલાકાતે આવનારા પ્રવાસીઓને હવે એક નવો અનુભવ મળશે.
પ્રાચીનતમ શહેર વડનગરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. 2500 વર્ષ કરતાં વધુ સમયથી સતત ધબકતું રહેલું આ શહેર સાત અલગ અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે. વડનગર મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે હિંદુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું.
આ શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોનો અણમોલ ખજાનો છે. તમામ ઐતિહાસિક ખાસિયતો ધરાવતું હોવા છતાં લોકોથી અજાણ્યું રહેલું વડનગર તે સમયે દેશ અને દુનિયાના નકશા પર ઉભરી આવ્યું, જ્યારે અહીંની ભૂમિમાં જન્મેલા નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગરના ઐતિહાસિક મહત્વ અને પ્રવાસન સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેની સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે પ્રેરિત કર્યા છે.






