ક્રિકેટર અશ્વિનનાં નિવેદનથી હોબાળો મચી ગયો છે. ક્રિકેટર અશ્વિને એક કાર્યક્રમમાં હિન્દી ભાષાને લઈને એક નિવેદન આપ્યું હતું. જેને લઈને સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો હતો. તેમણે કહ્યું કે, “હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી.”ક્રિકેટર અશ્વિને તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. હવે રવિચંદ્રન અશ્વિને એવું નિવેદન આપ્યું છે, જેના કારણે વિવાદ ઉભો થયો છે. ચેન્નાઈમાં એક એન્જિનિયરિંગ કોલેજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે અશ્વિને કહ્યું કે, હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નથી.
અશ્વિનના આ નિવેદનથી ફરી એકવાર ભાષા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. પોતાના સંબોધન દરમિયાન, અશ્વિને વિદ્યાર્થીઓને પૂછ્યું કે, શું કોઈને હિન્દીમાં પ્રશ્નો પૂછવામાં રસ છે, જેમાં કોઈએ રસ દાખવ્યો નહીં. આ પછી અશ્વિને કહ્યું, ‘મને લાગ્યું કે મારે આ કહેવું જોઈએ.’ હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી, તે એક સત્તાવાર ભાષા છે.અશ્વિનના આ નિવેદનથી હોબાળો મચી ગયો છે, પરંતુ આ બાબતે અશ્વિન કેટલા સાચા અને ખોટા છે તે આ અહેવાલમાં જાણીશું. હિન્દી વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે. જોકે, ઘણા લોકો હિન્દી વિશે જાણતા નથી. હિન્દી ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. આથી, લોકો માને છે કે તે ભારતની રાષ્ટ્રીય ભાષા છે, જ્યારે એવું નથી. હિન્દીને ભારતની રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવામાં આવ્યો નથી. આ પાછળનું કારણ શું છે, ચાલો જાણીએ…
આઝાદી પછી, કન્હૈયાલાલ માણિકલાલ મુનશી અને નરસિંહ ગોપાલસ્વામી આયંગરને ભાષા સંબંધિત કાયદા બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિમાં હિન્દી ભાષા અંગે ઘણી ચર્ચા થઈ હતી. આખરે 14 સપ્ટેમ્બર 1949ના રોજ એક કાયદો બનાવવામાં આવ્યો હતો. બંધારણના અનુચ્છેદ 343 અને 351 હેઠળ બનાવવામાં આવેલા આ કાયદામાં જણાવાયું હતું કે, હિન્દી ભારતની સત્તાવાર ભાષારહેશે. ત્યારે તેને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવામાં આવ્યો ન હતો. ત્યારથી, 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે.








