B INDIA અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવશે. આ પ્રવાસ દરમ્યાન તેઓ શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ. 651 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેમના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ઝુંડાલમાં રૂ. 100 કરોડના ખર્ચે બનેલા આઇકોનિક રોડનું લોકાર્પણ રહેશે.અમદાવાદના વિકાસને વધુ ગતિ આપવા માટે આ પ્રવાસ ખૂબ મહત્વનો છે. તેમાં, થલતેજમાં રૂ. 13 કરોડના ખર્ચે બનેલા શિલજ તળાવનું લોકાર્પણ કરીને નાગરિકોને નવી સુવિધાઓ અર્પિત કરવામાં આવશે.
સાથે જ, બોડકદેવ વોર્ડમાં રૂ. 3.35 કરોડના ખર્ચે તૈયાર થયેલા વેજિટેબલ માર્કેટનો શુભારંભ પણ થાય તેવી શક્યતા છે. સુવિધાઓને વધુ પ્રભાવશાળી બનાવવા માટે ચેનપુર અંડરપાસનો ઉદ્ઘાટન કાર્યક્રમ પણ યોજાશે. આ અંડરપાસ માટે સ્થાનિક નાગરિકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે મુસાફરીમાં મોટી રાહત આપશે.કેમ્પ સહકાર યોજના હેઠળ બનાવાયેલા 83 મકાનો અને 12 દુકાનોના કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ હાઉસિંગ પ્રોજેક્ટ નાગરિકોને વધુ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયત્ન છે. પ્રસંગે અમિત શાહ રાણીપ ખાતે યોજાનારી વિશાળ જાહેર સભામાં નાગરિકો સાથે સીધો સંપર્ક સાધશે. તેમની સાથે સંવાદ દ્વારા તેઓ ભાજપ સરકારના વિકાસ કાર્ય અંગે નાગરિકોને માહિતી પણ આપશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી ના મતે, “આ વિકાસકામો શહેરના લોકોના જીવનમાં નોંધપાત્ર ફેરફાર લાવશે. અને બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અમદાવાદ વધુ એક પગલું આગળ વધી જશે.”








