રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા નાગરિકોને પાયાની અને આવશ્યક સેવાઓ સતત અને સરળતાથી પ્રાપ્ત થતી રહે તે સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 15મા નાણાપંચની ભલામણો મુજબ બીજા હપ્તા હેઠળ પંચાયતી રાજ સંસ્થાઓને કુલ રૂ.741.90 કરોડની માતબર રકમની ફાળવણી કરી છે.
પંચાયત મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે એમ, 15માં નાણાપંચ હેઠળ આ વ્યાપક ફાળવણીનો મુખ્ય હેતુ રાજ્યના ગ્રામીણ માળખાને વધુ મજબૂત બનાવવાનો અને ગ્રામીણ નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે.
જાણો કેટલી થઈ ફાળવણી
આ કુલ ફાળવણીને પંચાયતી રાજના ત્રણેય સ્તરો વચ્ચે રેશિયો મુજબ વહેંચવામાં આવી છે. આ વહેંચણી મુજબ ગ્રામ પંચાયતોને 70 ટકા લેખે રૂ. 519.33 કરોડ, તાલુકા પંચાયતોને 20 ટકા લેખે રૂ. 148.38 કરોડ તથા જિલ્લા પંચાયતોને 10 ટકા લેખે રૂ. 74.19 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ફાળવણીના આધારે સમગ્ર રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં આશરે 45,000થી વધુ વિકાસ કામો હાથ ધરવામાં આવશે. આ કામોમાં પીવાના પાણીની સુવિધાઓ, સ્વચ્છતાના કાર્યોનો સમાવેશ કરવામાં આવશે.
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને રાજ્યના ગ્રામીણ વિસ્તારના નાગરિકો સુધી જીવનજરૂરી તમામ સુવિધાઓ પહોંચાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ ભંડોળનો અસરકારક ઉપયોગ પંચાયતો દ્વારા થાય અને ગ્રામિણ સ્તરે સંતુલિત વિકાસ થાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 15મા નાણાપંચ અંતર્ગત ગ્રામીણ વિકાસ માટે છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ રૂ. 2619 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ટાઇડ ગ્રાન્ટના પ્રથમ હપ્તા પેટે રૂ. 829.50 કરોડ અને દ્વિતીય હપ્તા પેટે રૂ. 741.90 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
તેવી જ રીતે, અનટાઇડ ગ્રાન્ટના પ્રથમ હપ્તા પેટે રૂ. 553 કરોડ અને દ્વિતીય હપ્તા પેટે રૂ. 494.60 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ પગલાથી ગ્રામ્ય સ્તરે નાણાકીય સશક્તિકરણ વધશે અને વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






