આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. ગોવિંદ પરમારના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક માટે મતદાન આગામી 23 એપ્રિલે યોજાશે, જ્યારે 4 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 6 મે સુધી પૂર્ણ કરવામાં આવશે.
ચૂંટણી કાર્યક્રમ મુજબ 30 માર્ચે ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારો માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ 6 એપ્રિલ રહેશે. ત્યારબાદ 7 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 9 એપ્રિલ સુધી પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે માહિતી આપતાં જણાવ્યું કે, ઉમરેઠ વિધાનસભાની અંતિમ મતદાર યાદી 17 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. આ યાદી મુજબ કુલ 2,42,836 મતદારો નોંધાયેલા છે, જેમાં 1,05,990 પુરુષ મતદારો અને 1,00,909 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. મતદારોના નામમાં સુધારાની પ્રક્રિયા 27 માર્ચ 2026 સુધી ચાલુ રહેશે. ત્યારબાદ વધારાની મતદાર યાદી તૈયાર કરીને મતદાન સમયે જાહેર કરવામાં આવશે.
ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. આચારસંહિતાના પાલન માટે જિલ્લા કક્ષાએ ખાસ ટીમોની રચના કરવામાં આવી છે. સોશિયલ મીડિયા, ચૂંટણી ખર્ચ અને મીડિયાની દેખરેખ રાખવા માટે વિશેષ મોનિટરિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 24 કલાક કાર્યરત ટીમો સતત નજર રાખશે અને પેઈડ ન્યૂઝ પર પણ ખાસ દેખરેખ રાખવામાં આવશે.
મતદારો અને નાગરિકોની ફરિયાદો સાંભળવા માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ ટોલ ફ્રી નંબર 111 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી શકશે.
આ પેટાચૂંટણી માટે ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં કુલ 306 મતદાન મથકો પર મતદાન યોજાશે. તમામ મતદાન મથકો પર EVM અને VVPAT મશીન દ્વારા મતદાન કરવામાં આવશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





