આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’, મળી શકે છે આટલી રકમ

* આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ હેઠળ રૂ. 5 કરોડથી વધુની રકમ અપાઈ : પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ  
* આ યોજના હેઠળ 70 થી વધુ ગુણ મેળવનાર ગ્રામ પંચાયતને રૂ. 2 લાખનું પ્રોત્સાહક ઇનામ
રાજયમાં આદિજાતિ સહિત છેવાડાના ગ્રામીણ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘જલ જીવન’ મિશન હેઠળ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મિશનનો વધુને વધુ ખાસ કરીને આદિજાતિના ગામોને લાભ મળે તે હેતુથી મરામત, નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના અમલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાઓમાં પાણી પુરવઠા યોજનાનું સંચાલન અને મરામત નિભાવણી સારી રીતે કરતી 258 ગ્રામ પંચાયતને એપ્રિલ-2025 થી જાન્યુઆરી-2026 સુધીમાં રૂ. 5.16 કરોડની રકમ પ્રોત્સાહન સ્વરૂપે આપીને પુરસ્કૃત કરવામાં આવી છે તેમ, પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.
પાણી પુરવઠા મંત્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશભરમાં નળ દ્વારા ઘર ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા ‘જલ જીવન મિશન યોજના’શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના’ હેઠળ 11 જિલ્લાઓમાં સૌથી વધુ સાબરકાંઠામાં 57 ગામ, જ્યારે તાપીમાં 52, ભરૂચમાં 27, સુરતમાં 25, નવસારીમાં 24, વલસાડમાં 20, બનાસકાંઠામાં 17, ડાંગમાં 16, અરવલ્લીમાં 15, દાહોદમાં 3 તેમજ પંચમહાલ જિલ્લામાં 2 એમ કુલ 258 ગામોનો સમાવેશ થાય છે.
મંત્રી ઈશ્વરસિંહે યોજના વિશે કહ્યું હતું કે, આ ગ્રામીણ કક્ષાની આંતરિક પેયજળ પુરવઠા યોજનાઓનું અમલીકરણ ગ્રામ પંચાયત વતી પાણી સમિતિ દ્વારા કરવામાં આવે છે. પાણી પુરવઠા હસ્તકના વાસ્મો દ્વારા ‘જલ જીવન મિશન’ અંતર્ગત ગ્રામ્ય પેયજળ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારમાં નળ જોડાણની કામગીરી કરવામાં આવી છે. આ યોજનાનું સંચાલન, મરામત અને નિભાવણી યોગ્ય રીતે થાય તે
જરૂરી છે.
પીવાના પાણીની મળતી ફરિયાદોને ધ્યાને લઇ, આદિજાતિ વિસ્તારની ગ્રામીણકક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણી અંગે ગ્રામ પંચાયતમાં માલિકીપણાનો ભાવ ઉભો થાય તે જરૂરી છે. આ સાથે ફરિયાદોનું પ્રમાણ ઘટે અને પેયજળ યોજનાઓનું યોગ્ય સંચાલન થાય તે હેતુથી આદિજાતિ વિસ્તારના કુલ 14 જિલ્લાના 53 તાલુકાના ગામો માટે “મરામત અને નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના”ને અમલી બનાવી છે. જે અંતર્ગત નિયત માપદંડના આધારે 11 જિલ્લાના ગામોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે.
યોજનાના લાભાર્થી, માપદંડ અને પ્રોત્સાહન-પુરસ્કાર રકમ :
ગ્રામ પંચાયત / પાણી સમિતિઆ યોજનાનો લાભ, જે ગ્રામ પંચાયત ઠરાવના સૂચિત માપદંડો જેવા કે અસરકારક સંચાલન, ફરિયાદનું પ્રમાણ, પાણી ગુણવત્તા, પાણીવેરાની વસુલાત, પાણી વિતરણ, ઓપરેટર વગેરે  માપદંડોમાં સારૂ પરફોર્મન્સ ધરાવતી ગ્રામ પંચાયતને પ્રોત્સાહન રકમ  મળવાપાત્ર થાય છે. જે મુજબ આ માપદંડોમાં 100 ગુણમાંથી 70 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ગ્રામ પંચાયતને આ યોજનાનો લાભ મળશે.  પ્રોત્સાહન પુરસ્કાર યોજના હેઠળ રૂ2 લાખ પ્રોત્સાહન રકમ મળવાપાત્ર થશે.
પ્રોત્સાહન યોજનાની રકમ ચૂકવણી પ્રક્રિયા અને મુખ્ય શરતોઃ-
1. ગ્રામ પંચાયત દ્વારા આ યોજનાનો લાભ લેવા જાહેરાત મુજબ અરજી કરવાની રહેશે.
2. અરજી અન્વયે જિલ્લા કક્ષાની નિયત કમિટી દ્વારા મૂલ્યાંકનની કામગીરી હાથ ધરી, જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળની કમિટીમાં મંજૂર કરવામાં આવશે.
3. રાજ્ય કક્ષાની કમિટી દ્વારા જિલ્લા દ્વારા રજૂ કરાયેલ ગ્રામ પંચાયતની પ્રોત્સાહન રકમ મંજૂર કરવામાં આવશે.
4. જિલ્લા પંચાયત દ્વારા જે તે ગામને પ્રોત્સાહન–પુરસ્કાર ફંડ ફાળવામાં આવશે.
આ યોજનાને પરિણામે ગ્રામ પંચાયતને પ્રોત્સાહન મળવાથી પાણી પુરવઠા ક્ષેત્રે અને પાણીવેરા વસૂલાત ક્ષેત્રે એક કાયમી પદ્ધતિ વિકસી છે. જે લાંબાગાળે ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા માટે ફાયદાકારક સાબિત થઇ રહી છે.

Related Posts

પાકિસ્તાન ‘સ્માર્ટ લોકડાઉન’ની તૈયારી: ભારતના પાડોશી દેશમાં ઉર્જા સંકટ, સરકારઅંતિમ નિર્ણય લે તેવી તૈયારી

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પાકિસ્તાનમાં ઉર્જા અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો ભારે અસરગ્રસ્ત થયો છે. હાલ પેકિસ્તાન સરકાર ‘સ્માર્ટ લોકડાઉન’ લગાવવાની તૈયારી કરી રહી છે, પરંતુ…

આંધ્રપ્રદેશમાં માલગાડી પલટી: મનુબોલુ–કૉમ્મારાપુડી વચ્ચે રેલવે ટ્રાફિક ખોરવાયો

આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં મનુબોલુ અને કૉમ્મારાપુડી રેલવે સ્ટેશન વચ્ચે આજે એક માલગાડી પલટી જવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાના કારણે વિજયવાડા, ચેન્નાઇ અને તિરુપતિ તરફ જતી અનેક ટ્રેન સેવાઓ…