ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીમંડળના સભ્યશ્રીઓ અને સચિવશ્રીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ નાણા મંત્રી કનુભાઈ દેસાઈને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું અને ઐતિહાસિક બજેટ રજૂ કરવા બદલ વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, તેમ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં અપાયેલી રાહતોને કારણે સામાન્ય જનતાને રાહત મળી છે. જીએસટીમાં રાહત બાદ રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થવાની સંભાવના હોવા છતાં, ગુજરાત સરકારે પોતાની વહીવટી કાર્યક્ષમતાના જોરે બજેટમાં ૧૦ ટકાનો વધારો કર્યો છે.
અર્થશાસ્ત્રીઓ અને વિદ્વાનો દ્વારા પણ આ બજેટની સરાહના કરવામાં આવી છે. આ બજેટ આદિજાતિ, અનુસૂચિત જાતિ, ઓબીસી, ખેડૂતો સહિત તમામ વર્ગોને આવરી લેતું સર્વસ્પર્શી બજેટ છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ વહીવટી સુધારણા સૂચવતા બેઠકમાં મુખ્ય સચિવને સૂચના આપી છે કે, બજેટ વિધાનસભામાં પસાર થાય તેની રાહ જોયા વગર અત્યારથી જ વર્તમાન અને નવી બાબતોનું અમલીકરણ કરવાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ.
મુખ્યમંત્રીએ તમામ વિભાગોને સૂચના આપી છે કે, બજેટમાં રજૂ થયેલી વર્તમાન અને નવી યોજનાઓ માટેના ડ્રાફ્ટ જીઆર, ડ્રાફ્ટ ટેન્ડર અને અન્ય વહીવટી પ્રક્રિયાની અત્યારથી જ શરૂ કરી દેવી, જેથી બજેટ મંજૂર થતાની સાથે જ દરેક યોજનાનું ત્વરિત અમલીકરણ થાય અને જનતાને પણ વિવિધ યોજનાઓનો લાભ ખૂબ ઝડપથી આપી શકાય, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ ઉપરાંત ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની તુલના અને સમીક્ષા કરવી અને તેમાં જો કોઈ ત્રુટી હોય તો તેને ઝડપથી દૂર કરવા મુખ્યમંત્રીએ દરેક વિભાગના સચિવઓને આદેશ આપ્યા છે, જેથી વધુમાં વધુ નાગરિકોને યોજનાકીય લાભ આપી શકાય, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






