શહેરના રેસકોર્સ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પોલીસનો ભ્રમ પેદા કરીને વેપારી પાસેથી રૂ. 32 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી લેવાયો હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.
વેપારી પાસે થી મોટી રકમની લૂંટ
પ્રાથમિક માહિતી મુજબ, લૂંટનો ભોગ બનેલા વ્યક્તિની ઓળખ સમીર રશ્મિકાંત પંડ્યા તરીકે થઈ છે, જેઓ કૃષિ ઉત્પાદનોનો વેપાર કરે છે. લૂંટની ઘટના ત્યારે બની જયારે સમીરભાઈ રોકડ સાથે રેસકોર્સ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા.
‘પોલીસ’ તરીકે ઓળખી લૂંટારૂઓએ ચલાવી ચાલાકી
આ કેસમાં ચાર ઈસમો સંડોવાયેલા હોવાનું મનાય છે, જેમાંથી એકનું નામ સાહેબજાદ મોટાની (ટીઆરબી/TRB જવાન) હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આરોપીઓએ પોતાને પોલીસ અથવા અધિકારીઓ તરીકે રજૂ કરી રોકડ ભરેલો થેલો જપ્ત કર્યો હતો.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા
વિષયની ગંભીરતાને પગલે ડી.સી.પી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની વધુ તપાસ માટે પ્રાણનગર પોલીસ મથકે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસ તંત્રે સત્તાવાર રીતે હજી સુધી કોઈ પુષ્ટિ કરી નથી, પરંતુ પ્રાથમિક તપાસ ઝડપથી આગળ વધી રહી છે અને આરોપીઓની ઓળખ તથા પકડ માટે કવાયત ચાલી રહી છે.






