બંગાળમાં રાજકીય ઘમાસાણ તેજ: મમતા બેનર્જી સામે FIR, ભાજપ આક્રમક મૂડમાં

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર ભારે ગરમાવો આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા બેનર્જી સામે સિલિગુડી સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાતા રાજ્યના રાજકીય માહોલમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ સાથે જોડાયેલી મહિલા કાર્યકર્તા અને વ્યવસાયે વકીલ રિંકી ચેટર્જીએ મમતા બેનર્જી પર ઈદના એક જાહેર કાર્યક્રમ દરમિયાન હિંદુ સમાજ અંગે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે.

ઈદના કાર્યક્રમમાં આપેલા નિવેદન પર વિવાદ
દાખલ કરાયેલી ફરિયાદ અનુસાર, ચૂંટણી દરમિયાન યોજાયેલા ઈદના એક કાર્યક્રમમાં મમતા બેનર્જીએ આપેલા ભાષણથી બહુમતી સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું આરોપ છે. ફરિયાદી રિંકી ચેટર્જીનું કહેવું છે કે તેમણે અગાઉ પણ આ મામલે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. હવે સત્તાવાર રીતે FIR નોંધાતા ભાજપે આ મુદ્દે ટીએમસી સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે.

ટીએમસીમાં આંતરિક અસંતોષની ચર્ચા
આ સમગ્ર વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસની અંદર આંતરિક મતભેદોની ચર્ચાઓ તેજ બની છે. તાજેતરમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીને કેટલાક વિસ્તારોમાં મોટો ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ફલતા વિધાનસભા બેઠક પર ભાજપની જીત બાદ વિપક્ષ વધુ આક્રમક બન્યો છે.

અભિષેક બેનર્જીના નિવાસસ્થાને પોલીસ પહોંચતા ચર્ચા
સોમવારે પોલીસની એક ટીમ ટીએમસીના જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જીના નિવાસસ્થાને પહોંચી હતી. માહિતી મુજબ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ દ્વારા એક LED TV મોનિટર સહિત કેટલીક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે.

ટીએમસીના નેતાઓ સામે કાર્યવાહી
અહેવાલો અનુસાર છેલ્લા એક સપ્તાહ દરમિયાન ભ્રષ્ટાચાર, ગેરકાયદે વસૂલાત અને ચૂંટણી બાદની હિંસા જેવા કેસોમાં ટીએમસીના 70થી વધુ નાના-મોટા નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે, આ આંકડાઓ અંગે સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી.

ટીએમસીનો ભાજપ પર પ્રહાર
તૃણમૂલ કોંગ્રેસે સમગ્ર કાર્યવાહી પાછળ ભાજપ અને કેન્દ્ર સરકારનો હાથ હોવાનું આક્ષેપ કર્યો છે. પાર્ટીનું કહેવું છે કે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને રાજકીય બદલાની ભાવનાથી ટીએમસી નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હાલમાં આ સમગ્ર મામલે મમતા બેનર્જી અથવા TMC તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસ દ્વારા કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

 

 

  • Related Posts

    TAT પરીક્ષા વિવાદ: 11 હજાર વિદ્યાસહાયકોની ભરતીમાં 500 જગ્યાઓ ખાલી રાખવા રજૂઆત

    ગુજરાતમાં 11 હજાર વિદ્યાસહાયકોની ભરતીને લઈને ચાલી રહેલા TAT (ટિચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ) પરીક્ષા વિવાદમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે રજૂઆત કરી છે કે,…

    અમદાવાદમાં AMCના જુનિયર ક્લાર્કને ACBએ રૂ.2 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

    અમદાવાદમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પ્રોપર્ટી ટેક્સ વિભાગના જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપીએ પ્રોપર્ટી ટેક્સ…