સમગ્ર દેશમાં “I Love Mohammad” પોસ્ટરોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે અમદાવાદમાં પણ આ મુદ્દો ગરમાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારના પોસ્ટરો જોવા મળ્યા છે, જેમાં જમાલપુર દરવાજા, દરીયાપુર, અને ખાડિયા વિસ્તારનો સમાવેશ થાય છે. વધતા તણાવ વચ્ચે મુસ્લિમ સમુદાયના આગેવાન અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સાવચેતીપૂર્વક નિવેદન આપ્યું છે કે આ પોસ્ટરોનો ઉદ્દેશ માત્ર તહેવારની ઉજવણી છે, ન કે કોઈ પ્રકારનો વિરોધ.
દેશભરમાંથી મળતી ઘટનાઓ
“I Love Mohammad” પોસ્ટરો અંગેની ફરિયાદો અનેક રાજ્યોમાંથી આવી રહી છે. શુક્રવારે નમાજ પછી કેટલીક મસ્જિદોની બહાર સામૂહિક પ્રદર્શન અને ટોળાંદોરીના દૃશ્યો જોવા મળ્યા હતા. કેટલાક શહેરોમાં તો તોફાનની પરિસ્થિતિ સર્જાઈ હતી. ગાંધીનગર નજીકના બહિયલ ગામમાં– તોફાની ટોળાંએ આગજની કરી, દુકાનોને નુકસાન પહોંચાડ્યું, અને પોલીસ-ફાયર અધિકારીઓ પર પથ્થરમારો કર્યો. કાનપુર, લખનૌ અને મુંબઈ– મુસ્લિમ સંગઠનો દ્વારા વિરોધ રેલીઓ અને જાહેર નિવેદનો. હિન્દુ સંગઠનો દ્વારા પ્રત્યાઘાતરૂપે “I Love Mahadev” અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેને લઈને પણ દેશમાં ધ્રુવીકરણનો માહોલ ઉભો થયો છે.
અમદાવાદમાં શું થયું?
અમદાવાદમાં અનેક વિસ્તારોમાં “I Love Mohammad” લખેલા પોસ્ટર જોવા મળ્યા. ખાસ કરીને જમાલપુર, રીલીફ રોડ, મણિનગર, અને દરીયાપુર જેવા વિસ્તારોમાં લોકોએ આ પોસ્ટરો અંગે પોલીસને જાણ કરી. સુરક્ષા એજન્સીઓ હાલ સ્થિતિ પર નજર રાખી રહી છે અને એલર્ટ મોડ પર છે.
ઇમરાન ખેડાવાલાની સ્પષ્ટતા
આ મામલે નિવેદન આપતા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું “આમ તો કોઈ વિવાદજનક બાબત નથી. ઈદે મિલાદ નજીક છે, જે મુસ્લિમ સમુદાય માટે પવિત્ર તહેવાર છે. દરેક વર્ષે લોકો મહોબ્બતથી આ દિવસ ઉજવે છે. આ પોસ્ટરો પણ તહેવારના ભાગરૂપે લગાવાયા છે. આનો કોઈ રાજકીય કે સામાજિક વિરોધથી સંબંધ નથી.” તેમણે મીડિયાને પણ અપીલ કરી કે વાતને વિવાદ બનાવવાને બદલે સમજીને રજૂ કરવામાં આવે.
પોલીસ અને તંત્રની સ્થિતિ
શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. કમિશનર ઓફ પોલીસએ જણાવ્યું કે “આજ સુધી કોઈ હિંસક ઘટના થઈ નથી. અમે દરેક સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. જુદી-જુદી ટોળીઓથી અપીલ છે કે શાંતિ જાળવી રાખે.”






