અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તાજેતરમાં યોજાયેલી બેઠક બાદ મંદિરના દાન અને ખર્ચનો વિગતવાર હિસાબ જાહેર કર્યો છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, મંદિર નિર્માણ માટે મળેલા દાનનો મોટો હિસ્સો નિર્માણ અને અન્ય જરૂરી કામગીરી પાછળ ખર્ચવામાં આવ્યો છે. સાથે જ દાનની ગણતરીમાં સામે આવેલી અનિયમિતતાઓ અંગે રાજ્ય સરકાર પાસે નિષ્પક્ષ તપાસની પણ માંગ કરવામાં આવી છે.
3,264 કરોડનું દાન, 2,370 કરોડનો નિર્માણમાં ખર્ચ
ટ્રસ્ટના નિવેદન અનુસાર, નિધિ સમર્પણ અભિયાન અને કોરપસ દાન દ્વારા કુલ 3,264 કરોડ રૂપિયા એકત્ર થયા હતા. આમાંથી 2,370 કરોડ રૂપિયા મંદિરના નિર્માણ અને અન્ય મૂડી ખર્ચ માટે વાપરવામાં આવ્યા છે. ટ્રસ્ટે જણાવ્યું કે તમામ ખર્ચ અને દાનની વિગતો સમયાંતરે જાહેર કરવામાં આવી છે અને નાણાકીય વ્યવહારો સંપૂર્ણ પારદર્શિતા સાથે કરવામાં આવે છે.
31 માર્ચ 2026 સુધી 482 કરોડનું વધારાનું દાન
ટ્રસ્ટના જણાવ્યા મુજબ, 31 માર્ચ 2026 સુધીમાં મંદિરને વધુ 482 કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું હતું. જેમાંથી 319 કરોડ રૂપિયા સંચાલન અને વહીવટી ખર્ચ માટે ઉપયોગમાં લેવાયા છે, જ્યારે બાકીની રકમ ટ્રસ્ટના બેન્ક ખાતામાં સુરક્ષિત રાખવામાં આવી છે.
દાનચોરી મામલે SIT તપાસ
દાનની ગણતરી દરમિયાન અનિયમિતતા સામે આવતા ટ્રસ્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્ય સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. સરકારે આ મામલે ઉચ્ચ સ્તરીય સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. પ્રાથમિક તપાસમાં 8 લોકો સામે પુરાવા મળ્યા હોવાનું જણાવાયું છે. ત્યારબાદ ટ્રસ્ટે સંબંધિત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
દોષિતોને કડક સજા મળે: ટ્રસ્ટ
ટ્રસ્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર સત્ય સામે આવશે અને જે કોઈ દોષિત હશે તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ. સાથે જ કોઈપણ વ્યક્તિને તપાસ પૂર્ણ થાય તે પહેલાં દોષિત ગણવી યોગ્ય નથી.
ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારાયા
ટ્રસ્ટની બેઠકમાં મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના નૈતિક આધારે આપેલા રાજીનામા સર્વાનુમતે સ્વીકારી લેવામાં આવ્યા છે. ઉપરાંત ટ્રસ્ટે એક સભ્યને વિશેષ આમંત્રિતોની યાદીમાંથી દૂર કરવાનો પણ નિર્ણય કર્યો છે. ટ્રસ્ટનું કહેવું છે કે શ્રીરામ મંદિરનું નિર્માણ દેશ માટે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ કાર્ય છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર હકીકત લોકો સમક્ષ મૂકવામાં આવશે અને ટ્રસ્ટ પારદર્શિતા જાળવવા માટે પ્રતિબદ્ધ રહેશે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






