ગુજરાતના પાટનગર ગાંધીનગરના વાસીઓ માટે ભારે ગરમી વચ્ચે મુશ્કેલીજનક સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે, 5 મે 2025ના રોજ, શહેરના સેક્ટર 1થી 30 સુધીના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે. નભોઈ પંપિંગ સ્ટેશનમાં થયેલો ઇલેક્ટ્રિક ફોલ્ટ, જેના કારણે સમગ્ર પાટનગરના મહત્વના વિસ્તારોમાં પાણીની અછત જોવા મળી શકે છે.
ઇલેક્ટ્રિક ફોલ્ટના કારણે પાણી પુરવઠો ખોરવાયો
શાસન તંત્રના જણાવ્યા અનુસાર, નભોઈ પંપિંગ સ્ટેશનમાં વિજળીની લાઈનમાં તકલીફ સર્જાઈ છે. આ કારણે પંપિંગ સિસ્ટમ કામ કરતી રોકાઈ ગઈ છે અને આગામી 24 કલાક માટે પાણી પુરવઠો સ્થગિત કરવામાં આવ્યો છે.
કયા વિસ્તારો પર પડશે અસર?
ગાંધીનગરના સેક્ટર 1થી 30 સુધીના તમામ રહેણાંક અને વ્યવસાયિક વિસ્તારો આ પાણી કાપની અસર હેઠળ આવશે. તેમાંથી ઘણા વિસ્તારોમાં મોટા હોસ્પિટલો, સરકારી કચેરીઓ અને શાળાઓ પણ આવે છે, જેને લઈ વહીવટી તંત્ર પણ તત્પર બન્યું છે. સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન અને વોટર સપ્લાય વિભાગે નિવેદન આપતાં જણાવ્યું છે કે, “નાગરિકોએ શક્ય હોય તેટલું પાણીનો સંગ્રહ કરીને રાખવો જોઈએ. અમારું તંત્ર પાણી પુરવઠો પુનઃપ્રારંભ કરવા માટે પ્રયાસરત છે, અને શક્ય તેટલી વહેલી તકે કામગીરી પુરી કરી લેવામાં આવશે.”
હાલત એક દિવસમાં સુધરશે?
હાલની સ્થિતિને જોતા એક દિવસમાં સમસ્યા સુધરશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા નથી. તંત્ર દ્વારા જણાવાયું છે કે ટેકનિકલ ટીમ કામગીરીમાં લાગી ગઈ છે, અને જો બધું યોગ્ય રહ્યું તો 6 મેની સવારે પાણી પુરવઠો ફરીથી શરૂ થઈ શકે છે. મહત્વનું છે કે હાલ રાજ્યમાં ઉનાળાની તીવ્રતા વધી રહી છે, અને આવા સમયમાં પાણી કાપ થવો શહેરીજનો માટે એક મોટું પડકાર બની રહ્યું છે. વળી, હવે રાહ જોવાની છે કે તંત્ર કેટલી ઝડપથી સમસ્યાનો ઉકેલ લાવે છે.








