પંચમહાલમાં ચાંદીપુરા વાયરસની દહેશત: 3 બાળકોના મોત, 13 શંકાસ્પદ કેસ; 24 ગામોમાં આરોગ્ય વિભાગનું સઘન સર્વેલન્સ

મહીસાગર અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના સંભવિત કેસોને પગલે ચિંતા વધી છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કુલ 13 બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં પંચમહાલ જિલ્લાના 11 અને મહીસાગર જિલ્લાના 2 બાળકોનો સમાવેશ થાય છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવેલા 2 બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે, જ્યારે અન્ય એક બાળકનું શંકાસ્પદ લક્ષણો સાથે મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી 2 બાળકો સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય બાળકોની સારવાર ચાલુ છે. તમામ દર્દીઓના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

24 ગામોમાં સઘન સર્વેલન્સ શરૂ
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે પંચમહાલ જિલ્લાના 24 જેટલા ગામોમાં સઘન સર્વેલન્સ હાથ ધર્યું છે. જ્યાં અગાઉ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા તે વિસ્તારોમાં દવા છંટકાવ, સ્પ્રેઇંગ અને કાચા મકાનોની દીવાલોની તિરાડો પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સર્વેલન્સ દરમિયાન 450થી વધુ સેન્ડફ્લાય માખીઓ પણ પકડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આરોગ્ય વિભાગની અપીલ
આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડૉ. સુરેન્દ્ર જૈને જણાવ્યું કે જિલ્લામાં અત્યાર સુધી 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 2 કેસ પોઝિટિવ આવ્યા છે અને 6ના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તમામ મેડિકલ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવે. તેમણે વાલીઓને પણ અપીલ કરી છે કે જો બાળકને અચાનક તાવ, માથાનો દુખાવો, ઉલ્ટી, ઝાડા અથવા શરીરમાં ખેંચ જેવા લક્ષણો જોવા મળે તો વિલંબ કર્યા વગર નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું.

ચાંદીપુરા વાયરસ શું છે?
ચાંદીપુરા વાયરસ પ્રથમ વખત વર્ષ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં ઓળખાયો હતો. ત્યારબાદ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં સમયાંતરે તેના કેસ નોંધાતા રહ્યા છે. આ વાયરસ મુખ્યત્વે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે અને ઝડપથી મગજ પર અસર કરીને ગંભીર સ્થિતિ સર્જી શકે છે.

ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે?
આ વાયરસ સેન્ડફ્લાય નામની અત્યંત નાની માખીના કરડવાથી ફેલાય છે. આ માખીઓ ખાસ કરીને કાચા મકાનોની દીવાલોની તિરાડો, ભેજવાળા વિસ્તારો અને ગંદકીવાળા સ્થળોએ જોવા મળે છે.

મુખ્ય લક્ષણો
– અચાનક ઊંચો તાવ આવવો
– સતત ઉલ્ટી અથવા ઝાડા થવા
– શરીરમાં ખેંચ આવવી
– માથાનો દુખાવો
– અર્ધબેભાન અથવા બેભાન થઈ જવું
ડોક્ટરોના જણાવ્યા મુજબ, લક્ષણો દેખાયા બાદ 24થી 48 કલાકની અંદર સારવાર શરૂ કરવી અત્યંત જરૂરી છે.

બચાવ માટે શું કરવું?
ઘરની દીવાલોની તિરાડો અને છિદ્રો બંધ રાખો.
ઘરમાં પૂરતો સૂર્યપ્રકાશ અને હવાની અવરજવર રહે તેની વ્યવસ્થા કરો.
15 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક મચ્છરદાનીમાં સુવડાવો.
બાળકોને ખુલ્લા શરીરે ધૂળ-માટીમાં રમવા ન દો.
ઘરની આસપાસ ગંદકી અને ભેજ એકત્ર થવા ન દો.
બાળકમાં તાવ, ઉલ્ટી અથવા ખેંચ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરો.

આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા અને કોઈપણ શંકાસ્પદ લક્ષણો જણાય તો તરત જ તબીબી સલાહ લેવા અપીલ કરી છે.

 

 

 

 

  • Related Posts

    જૂનમાં રિટેલ મોંઘવારી વધીને 4.38%: શાકભાજી-દાળના ભાવમાં ઉછાળો, લોન મોંઘી થવાની શક્યતા

    દેશમાં છૂટક મોંઘવારી (રિટેલ ઇન્ફ્લેશન) ફરી એકવાર વધી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ, મે મહિનામાં 3.93 ટકા રહેલો રિટેલ મોંઘવારી દર જૂનમાં વધીને 4.38 ટકા પર પહોંચ્યો…

    ગુજરાતમાં એકસાથે વરસાદની 3 સિસ્ટમ સક્રિય: 8 જિલ્લામાં રેડ એલર્ટ, દરિયાકાંઠાના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ

    ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતાં હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્ય પર એકસાથે ત્રણ ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેલ…