દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં ફરી એકવાર એવિયન ઈન્ફલ્યુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂના ભણકારા વાગી રહ્યા છે. કેરળના અલાપ્પુઝા જિલ્લામાં કાગડાઓના અચાનક થતા મૃત્યુ બાદ કરવામાં આવેલા લેબોરેટરી પરીક્ષણોમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસની પુષ્ટિ થઈ છે. આ ઘટનાના પગલે આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે.
અલાપ્પુઝાના કેટલાક વિસ્તારોમાં જોખમ વધુ
પ્રાપ્ત માહિતી અનુસાર, અલાપ્પુઝા જિલ્લાની બે ગ્રામ પંચાયતોમાં કાગડાઓમાં આ ઘાતક વાયરસ મળી આવ્યો છે. સામાન્ય રીતે મરઘાં અને બતકમાં જોવા મળતો આ વાયરસ હવે કાગડાઓ અને જંગલી પક્ષીઓમાં જોવા મળતાં વન્યજીવ પ્રેમીઓ અને આરોગ્ય નિષ્ણાતોમાં ચિંતા ફેલાઈ છે. પ્રશાસને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક દેખરેખ વધારી દીધી છે.
પાણીના સ્ત્રોતોને લઈને ખાસ ચેતવણી
આરોગ્ય વિભાગે જારી કરેલી એડવાઈઝરીમાં ખુલ્લા પાણીના સ્ત્રોતો જેમ કે તળાવ, કુવા અને નદીઓના પાણીનો ઉપયોગ કરતી વખતે ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. પક્ષીઓના મળ-મૂત્ર અથવા લાળથી પાણી પ્રદૂષિત થવાનો ખતરો હોવાનું જણાવવામાં આવ્યું છે. લોકોને પાણી ઉકાળીને પીવા અને પક્ષીઓ વધુ સંખ્યામાં હોય તેવા જળાશયોથી દૂર રહેવા સલાહ આપવામાં આવી છે.
નાગરિકો શું રાખશે ધ્યાન?
આરોગ્ય નિષ્ણાતોએ લોકોને અપીલ કરી છે કે જો કોઈ વિસ્તારમાં કાગડા, બતક અથવા મરઘાં મોટા પ્રમાણમાં મૃત હાલતમાં જોવા મળે તો તેને સ્પર્શ ન કરવો અને તરત જ પશુપાલન વિભાગ અથવા નજીકના આરોગ્ય કેન્દ્રને જાણ કરવી.
કેરળ સરકાર દ્વારા પડોશી જિલ્લાઓમાં વાયરસ ફેલાય નહીં તે માટે સતત મોનિટરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સાથે જ પક્ષીપાલકોને તેમના પક્ષીઓના સ્વાસ્થ્ય પર કડક નજર રાખવા અને કોઈ શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક આઈસોલેશન રાખવાની સૂચના આપવામાં આવી છે
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






