ઈબોલા વાઈરસના ખતરાને લઈને અમદાવાદ એરપોર્ટે જાહેર કરી એડવાઈઝરી, 5 નિયમોનું પાલન ફરજિયાત

વિશ્વભરમાં વધી રહેલા ઈબોલા વાયરસ રોગ ના ખતરાને ધ્યાનમાં રાખીને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ના વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જનઆરોગ્યની સુરક્ષા અને સંક્રમણ રોકવાના હેતુથી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ દ્વારા ભારતમાં આવતા મુસાફરો માટે નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. એરપોર્ટ સત્તાધીશો દ્વારા તમામ એરલાઈન્સ અને સંબંધિત વિભાગોને આ નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

– તમામ મુસાફરો માટે SDF ફોર્મ ફરજિયાત
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ની માર્ગદર્શિકા મુજબ હવે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ‘સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ’ (SDF) ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ફોર્મનો મુખ્ય હેતુ સંભવિત સંક્રમિત મુસાફરોની ઓળખ કરી દેશમાં ચેપ ફેલાવાનો જોખમ ઘટાડવાનો છે.

– ફ્લાઈટ લેન્ડ થાય પહેલાં કરવી પડશે જાહેરાત
એરપોર્ટ પર ભીડ અને ગેરવ્યવસ્થા ટાળવા માટે હવે ફ્લાઈટ લેન્ડ થાય તે પહેલાં જ વિમાનની અંદર સ્વાસ્થ્ય સંબંધિત સૂચનાઓ અને SDF ફોર્મ અંગેની સત્તાવાર જાહેરાતો પૂર્ણ કરવાની રહેશે.

– 24 કલાક તૈનાત રહેશે હેલ્થ વર્કર્સ
એરપોર્ટના અરાઈવલ વિભાગમાં 24 કલાક હેલ્થ વર્કર્સ તૈનાત રહેશે. સંક્રમણ અટકાવવા માટે તમામ હેલ્થ પ્રોટોકોલ અને SOPનું કડક પાલન કરાશે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરો તેમજ હેલ્થ સ્ટાફની સુરક્ષા માટે ચેપ નિયંત્રણના નિયમોમાં કોઈ બેદરકારી ચલાવવામાં આવશે નહીં.

– ‘એર સુવિધા’ પોર્ટલ ફરી શરૂ થઈ શકે
નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) દ્વારા ટૂંક સમયમાં ‘એર સુવિધા’ પોર્ટલ ફરી શરૂ કરવામાં આવી શકે છે. ત્યાં સુધી તમામ મુસાફરોએ મેન્યુઅલી SDF ફોર્મ ભરવાનું રહેશે.

– અન્ય એરલાઈન્સ માટે પણ ખાસ સૂચનાઓ
DGCAના એનેક્સર-1 હેઠળ ન આવતી એરલાઈન્સને પણ મુસાફરોનું ટ્રેસિંગ અને મેડિકલ મોનિટરિંગ સરળ બને તે માટે SDF ફોર્મ એકત્રિત કરવાનું ફરજિયાત બનાવાયું છે. ખાસ કરીને કેટેગરી-1, 2 અને 3 હેઠળ આવતા અથવા ઈબોલા જોખમ ધરાવતા મુસાફરો માટે નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે.

ઈબોલા વાઈરસના ખતરાને જોતાં અમદાવાદ એરપોર્ટે જાહેર કરી એડવાઈઝરી, 5 નિયમોનું કડક પાલન ફરજિયાત 2 - image

શું છે ઈબોલા વાયરસ?
ઈબોલા વાયરસ રોગ એક અત્યંત ઘાતક અને જીવલેણ વાયરસજન્ય ચેપ છે, જે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે. શરૂઆતમાં તેના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા હોય છે. તેમાં તીવ્ર તાવ, નબળાઈ, માથાનો દુખાવો, ગળામાં ખરાશ, સ્નાયુઓમાં દુખાવો, ઉલટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. ગંભીર સ્થિતિમાં દર્દીના શરીરમાં આંતરિક અને બાહ્ય બ્લીડિંગ પણ થઈ શકે છે.

ઈબોલા કેવી રીતે ફેલાય છે?
ઈબોલા હવામાંથી ફેલાતો નથી, પરંતુ સંક્રમિત વ્યક્તિના લોહી, લાળ, પરસેવો, ઉલટી, મળ અથવા શરીરના અન્ય પ્રવાહી સાથે સીધા સંપર્કથી ઝડપથી ફેલાય છે. સંક્રમિત વ્યક્તિના કપડાં, પથારી અથવા અન્ય વસ્તુઓના સંપર્કથી પણ ચેપ ફેલાઈ શકે છે. ઉપરાંત ઈબોલાના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિના શવના સંપર્કમાં આવવું પણ અત્યંત જોખમી માનવામાં આવે છે.

 

 

 

  • Related Posts

    2026 : Investopia Global Ahmedabad: ભારત અને UAE વચ્ચે આર્થિક કોરિડોરનું નિર્માણ CEPA Agreement : GIFT City

    અમદાવાદમાં આયોજિત ઇન્વેસ્ટોપિયા ગ્લોબલના ભવ્ય ઉદ્ઘાટન સમારંભે ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેના આર્થિક, વ્યાપારી અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

    2026 : અમદાવાદ વરસાદ : AMCની સતર્કતાથી શાહીબાગ અન્ડરપાસ ખૂલ્યો Quick Response : Red Alert

    અમદાવાદ, 23 જુલાઈ 2026: અમદાવાદ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન શાહીબાગ અન્ડરપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં…