ગુજરાતમાં કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો, એક વર્ષમાં 79 હજાર નવા દર્દીઓ નોંધાયા, 43 હજારથી વધુ લોકોના મોત

ગુજરાતમાં કેન્સર એક ગંભીર જાહેર આરોગ્ય પડકાર તરીકે સામે આવી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં કેન્સરના નવા કેસ અને તેના કારણે થતાં મૃત્યુના પ્રમાણમાં અંદાજે 10 ટકાનો વધારો નોંધાયો છે. તાજેતરના આંકડાઓ મુજબ વર્ષ 2025 દરમિયાન રાજ્યમાં લગભગ 79 હજાર નવા કેન્સરના દર્દીઓ નોંધાયા છે, જ્યારે 43,500થી વધુ લોકોના મૃત્યુ કેન્સરના કારણે થયા છે. આ આંકડાઓ રાજ્યમાં કેન્સર સામે વધુ અસરકારક જાગૃતિ, સમયસર નિદાન અને સારવારની જરૂરિયાત દર્શાવે છે.

ઉપલબ્ધ માહિતી અનુસાર ગુજરાતમાં દરરોજ સરેરાશ 217 નવા કેન્સરના કેસ સામે આવી રહ્યા છે. એટલું જ નહીં, દરરોજ સરેરાશ 119 લોકો કેન્સરના કારણે જીવ ગુમાવી રહ્યા છે, જે સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ કરે છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે જીવનશૈલીમાં બદલાવ, તમાકુ અને ગુટખાનું વધતું સેવન, પ્રદૂષણ, અસંતુલિત આહાર અને મોડા તબક્કે નિદાન જેવા પરિબળો કેન્સરના વધતા કેસ પાછળ જવાબદાર હોઈ શકે છે.

કેન્સરના કેસમાં પાંચ વર્ષમાં 10 ટકાનો વધારો નોંધાયો

ગુજરાતમાં વર્ષ 2021ના આંકડાઓ પર નજર કરીએ તો તે સમયે ગુજરાતમાં 71,507 નવા કેન્સરના કેસ નોંધાયા હતા અને 39,238 દર્દીઓના મૃત્યુ થયા હતા. જ્યારે વર્ષ 2025 સુધીમાં આ બંને આંકડાઓમાં લગભગ 10 ટકાનો વધારો નોંધાયો છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ કેન્સરના કેસોમાં સતત વધારો જાહેર આરોગ્ય માટે ચિંતાનો વિષય છે અને તેને નિયંત્રિત કરવા માટે સરકાર, આરોગ્ય સંસ્થાઓ અને સમાજે મળીને કામ કરવાની જરૂર છે.

દેશવ્યાપી આંકડાઓ મુજબ કેન્સરના કારણે સૌથી વધુ મૃત્યુ થતાં રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ ટોચના રાજ્યોમાં થાય છે. વર્ષ 2025ના ઉપલબ્ધ ડેટા અનુસાર કેન્સરથી સૌથી વધુ મૃત્યુના મામલે ગુજરાત દેશના નવમા ક્રમે છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ અંદાજે 1.25 લાખ લોકોના મૃત્યુ કેન્સરના કારણે નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

પુરુષોમાં મોઢાનું કેન્સર સૌથી વધુ

ગુજરાતમાં અમદાવાદની સિવિલ મેડિસિટી સ્થિત કેન્સર હોસ્પિટલના વર્ષ 2025 સુધીના આંકડાઓ દર્શાવે છે કે પુરુષોમાં સૌથી વધુ મોઢાના કેન્સરના કેસ નોંધાયા છે. વર્ષ 2021 દરમિયાન મોઢાના કેન્સરના 1,726 કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2025માં આ સંખ્યા વધીને 1,931 થઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે તમાકુ, ગુટખા, માવો અને ધૂમ્રપાનનું વધતું સેવન મોઢાના કેન્સરનું મુખ્ય કારણ બની રહ્યું છે.

તબીબોના જણાવ્યા મુજબ મોઢામાં લાંબા સમય સુધી ન ભરાતા ઘા, સફેદ અથવા લાલ ડાઘ, ગળવામાં તકલીફ અથવા મોઢું પૂરતું ન ખુલવું જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં. સમયસર તપાસ કરાવવાથી કેન્સરને શરૂઆતના તબક્કામાં ઓળખી સારવાર શક્ય બને છે.

મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસ સૌથી વધુ

મહિલાઓમાં સૌથી વધુ બ્રેસ્ટ કેન્સરના કેસ નોંધાઈ રહ્યા છે. વર્ષ 2021માં બ્રેસ્ટ કેન્સરના 1,385 કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2025માં આ સંખ્યા વધીને 1,456 થઈ ગઈ છે. તબીબોના જણાવ્યા મુજબ સમયસર સ્ક્રીનિંગ, નિયમિત તપાસ અને જાગૃતિ દ્વારા બ્રેસ્ટ કેન્સરને શરૂઆતના તબક્કામાં શોધી તેની સફળ સારવાર શક્ય બને છે.

આરોગ્ય નિષ્ણાતો મહિલાઓને નિયમિત સ્વ-તપાસ, જરૂરી તબીબી તપાસ અને કોઈપણ અસામાન્ય લક્ષણ દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લેવાની અપીલ કરે છે.

અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલ અન્ય રાજ્યોના દર્દીઓ માટે પણ આશાનું કેન્દ્ર

અમદાવાદની સિવિલ મેડિસિટી સ્થિત કેન્સર હોસ્પિટલ માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોના દર્દીઓ માટે પણ સારવારનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની છે. વર્ષ 2025 દરમિયાન અહીં 26,810થી વધુ નવા કેન્સરના દર્દીઓનું રજિસ્ટ્રેશન થયું હતું.

આમાંથી 9,147 દર્દીઓ ગુજરાત બહારના રાજ્યોમાંથી સારવાર માટે આવ્યા હતા. તેમાં સૌથી વધુ મધ્યપ્રદેશના 4,572, રાજસ્થાનના 2,678, ઉત્તર પ્રદેશના 1,064, બિહારના 288 અને મહારાષ્ટ્રના 279 દર્દીઓનો સમાવેશ થાય છે. આ આંકડાઓ દર્શાવે છે કે અમદાવાદની સિવિલ કેન્સર હોસ્પિટલ પ્રદેશની અગ્રણી કેન્સર સારવાર સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે.

સમયસર નિદાન અને જાગૃતિ જ બચાવનો શ્રેષ્ઠ માર્ગ

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ કેન્સર સામેની લડતમાં સૌથી મહત્વની બાબત સમયસર નિદાન છે. તમાકુ અને ધૂમ્રપાનથી દૂર રહેવું, સંતુલિત આહાર લેવો, નિયમિત કસરત કરવી, આલ્કોહોલનું અતિશય સેવન ટાળવું અને નિયમિત આરોગ્ય તપાસ કરાવવી જેવી બાબતો કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.

ગુજરાતમાં કેન્સરના વધતા કેસ અને મૃત્યુદરને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ અભિયાન, સ્ક્રીનિંગ કાર્યક્રમો અને સમયસર સારવારની સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે લોકોમાં જાગૃતિ વધે, શરૂઆતના લક્ષણોને ગંભીરતાથી લેવામાં આવે અને સમયસર સારવાર શરૂ કરવામાં આવે તો કેન્સરથી થતા મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાય છે.

 

 

Related Posts

કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત બાદ NHAIનો મોટો નિર્ણય, ટોલ વસૂલાત બંધ

ઉત્તર પ્રદેશના કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત સામે આવ્યા બાદ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની ગુણવત્તા અંગે ઉઠેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ NHAIએ માર્ગનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દરમિયાન એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી કોઈપણ પ્રકારનો ટોલ લેવામાં આવશે નહીં. NHAIના આ નિર્ણયને માર્ગ નિર્માણમાં ગુણવત્તા જાળવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે ટોલ બંધ રહેવાના કારણે થનારા આવકના નુકસાનની ભરપાઈ સરકાર નહીં કરે, પરંતુ સંબંધિત માર્ગ નિર્માણ કંપની પાસેથી વસૂલવામાં આવશે. એક્સપ્રેસવે રસ્તાની ખરાબ સ્થિતિને લઈને ઉઠ્યા સવાલ તાજેતરમાં કાનપુર-લખનૌ એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની સપાટી ખરાબ થઈ જવાની ફરિયાદો…

કાશ્મીરમાં મોસ્ટ વોન્ટેડ લશ્કર આતંકી મોહમ્મદ લતીફ ભટ સામે સુરક્ષા એજન્સીઓનો સિકંજો, શ્રીનગરમાં ‘વોન્ટેડ’ પોસ્ટરો

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ચાલી રહેલા અભિયાનને વધુ તીવ્ર બનાવતાં ભારતીય સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબા (LeT)ના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ લતીફ ભટને ઝડપી પાડવા માટે વ્યાપક કાર્યવાહી શરૂ કરી છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરમાં તાજેતરમાં થયેલી લક્ષિત હત્યાઓમાં તેની સંડોવણી હોવાની શંકા છે. આ કેસમાં એક પોલીસ જવાન અને બે પરપ્રાંતીય મજૂરોની હત્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર કાશ્મીર ખીણમાં સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સુધી ઝડપથી પહોંચી શકાય તે માટે પોલીસે અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સામાન્ય નાગરિકોનો સહયોગ મેળવવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત શ્રીનગર શહેરના વિવિધ જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને પ્રેસ એન્ક્લેવ સહિતના વિસ્તારોમાં મોહમ્મદ લતીફ ભટના ફોટોગ્રાફ સાથે ‘વોન્ટેડ’ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં તેની ઓળખ અંગે માહિતી આપવામાં આવી…