રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર સતર્ક બની છે. વાયરસની હાલની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે આરોગ્ય વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
27 શંકાસ્પદ નમૂનાઓમાંથી 7 પોઝિટિવ
આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે ચાંદીપુરા વાયરસના નિદાન માટે લેબોરેટરી પરીક્ષણની કામગીરી ઝડપથી ચાલી રહી છે. અત્યાર સુધી કુલ 27 શંકાસ્પદ કેસોના નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેમાંથી 19ના રિપોર્ટ પ્રાપ્ત થયા છે. આ પૈકી 7 કેસ પોઝિટિવ અને 12 કેસ નેગેટિવ નોંધાયા છે, જ્યારે બાકીના 8 નમૂનાઓના પરિણામોની રાહ જોવાઈ રહી છે.
ત્રણ બાળકોના મોત પર દુઃખ વ્યક્ત
આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ચાલુ વર્ષે ચાંદીપુરા વાયરસના કારણે ત્રણ બાળકોના દુઃખદ મોત થયા છે. તેમણે આ અંગે શોક વ્યક્ત કરતાં આરોગ્ય તંત્રને સ્પષ્ટ સૂચના આપી કે હવે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કારણે એકપણ બાળકનું મૃત્યુ ન થાય તે માટે તમામ જરૂરી પગલાં ઝડપથી લેવામાં આવે.
તમામ બાળરોગ નિષ્ણાતોને માર્ગદર્શિકા
આરોગ્ય વિભાગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના સહયોગથી રાજ્યના તમામ બાળરોગ નિષ્ણાતોને માર્ગદર્શિકા મોકલી છે. સાથે જ નાના આરોગ્ય કેન્દ્રો અને ખાનગી ક્લિનિક ચલાવતા ડૉક્ટરોને પણ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળે તો પ્રાથમિક સારવાર આપ્યા બાદ સમય બગાડ્યા વગર તેને ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા ધરાવતી મોટી હોસ્પિટલમાં તાત્કાલિક રિફર કરવામાં આવે.
61 સ્થળોએ પૂર્ણ કરાઈ સર્વેલન્સ અને દવા છંટકાવની કામગીરી
આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ વર્ષ 2024 દરમિયાન રાજ્યમાં જ્યાં 61 સ્થળોએ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા, તે તમામ વિસ્તારોમાં આરોગ્ય વિભાગે દવા છંટકાવ, ફોગિંગ અને લોકજાગૃતિ અભિયાન પૂર્ણ કરી દીધાં છે. નોંધનીય છે કે આ તમામ જૂના વિસ્તારોમાં અત્યાર સુધી એકપણ નવો કેસ નોંધાયો નથી. જે વિસ્તારોમાં તાજેતરમાં નવા કેસ સામે આવ્યા છે ત્યાં પણ ફોગિંગ, સેન્ડફ્લાય નિયંત્રણ માટે સ્પ્રે અને સેનિટાઇઝેશન સહિતની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાઓ અને તબીબી સાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે.
નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ચાંદીપુરા વાયરસની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તેમણે નાગરિકોને અપીલ કરી કે જો કોઈ બાળકમાં અચાનક તાવ, ઉલટી, ખેંચ અથવા બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવો. મંત્રીએ આરોગ્ય વિભાગને દવાઓની ઉપલબ્ધતા, ફોગિંગ, સર્વેલન્સ અને જનજાગૃતિની કામગીરી વધુ સઘન બનાવવા પણ સૂચના આપી છે.
બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, શહેરી આરોગ્ય કમિશનર ડૉ. સંધ્યા ભુલ્લર, ગ્રામ્ય આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણ, જાહેર આરોગ્ય અધિક નિયામક ડૉ. નિલમ પટેલ સહિત આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






