નડિયાદ કોર્ટનો ચુકાદો: સગીરા પર અત્યાચાર ગુજારનાર સદામને ૨૦ વર્ષની સજા

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ ।

યત્રૈતાસ્તુ ન પૂજ્યન્તે સર્વાસ્તત્રાફલાઃ ક્રિયાઃ ॥

( જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે, અને જ્યાં નારીનું અપમાન કે શોષણ થાય છે ત્યાં તમામ સત્કર્મો નિષ્ફળ જાય છે.)

પંકજ મકવાણા – નડિયાદ: ખેડા જિલ્લાની નડિયાદ સ્પેશિયલ પોક્સો કોર્ટે સમાજ માટે એક દાખલારૂપ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. લગ્નની લાલચ આપીને એક ૧૬ વર્ષની માસૂમ સગીર દીકરીને વાલીપણામાંથી ભગાડી જઈ, તેની મરજી વિરુદ્ધ અવારનવાર નરાધમ કૃત્ય આચરનાર આરોપી સદામહુસેન યુસુફભાઈ મલેક (રહે. વરસોલા, કસબામાં, તા. મહેમદાવાદ) ને સ્પેશિયલ પોક્સો જજ પી. પી. પુરોહિતે તમામ ગુનાઓમાં કસૂરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. ૩૫,૦૦૦નો આકરો દંડ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે ભોગ બનનાર પીડિત દીકરીને રૂ. ૧,૦૦,૦૦૦ (એક લાખ પુરા) નું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. કાયદાના આ સખત પ્રહારે સમાજમાં ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

બનાવની વિગતો મુજબ, આ કાળજું કંપાવી દેનારી ઘટના તા. ૧૧/૦૬/૨૦૨૧ના રોજ બની હતી. આરોપી સદામહુસેન મલેકે બપોરના સમયે મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામેથી ફરિયાદીની માત્ર ૧૬ વર્ષ અને ૧ માસની સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવીને પોતાની મોટરસાયકલ (નંબર જીજે-૭બી-બીઈ-૬૨૦૬) ઉપર બેસાડી ત્યાંથી તે સગીરાને આંતરસુંબા નદીના અવાવરૂ કોતરોમાં લઈ ગયો હતો અને આખી રાત પોતાની સાથે રાખી તેની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજારી શારીરિક શોષણ કર્યું હતું. આ મામલે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

કોર્ટની કાર્યવાહી દરમિયાન, આ કેસ નડિયાદની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. જ્યાં સરકાર પક્ષ તરફથી મહિલા સરકારી વકીલ યોગીબેન બારોટે ધારદાર રજૂઆતો કરી હતી. સરકારી વકીલે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા અને સાહેદોની અત્યંત મજબૂત જુબાનીઓને ધ્યાને રાખીને, તેમજ તેમની સચોટ દલીલોને ગ્રાહ્ય રાખીને જજ પી. પી. પુરોહિતે આરોપીને કડક સજા સંભળાવી હતી. જેમાં પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ૨૦ વર્ષની સખત કેદ અને ૨૫ હજાર દંડ, તેમજ ઈ.પી.કો. કલમ-૩૬૩ (અપહરણ) અને કલમ-૩૬૬ હેઠળ ૫-૫ વર્ષની સખત કેદ અને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ન ભરે તો તેણે વધુ કેદની સજા ભોગવવી પડશે. કોર્ટના આ ન્યાયથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને કાયદાની સર્વોપરિતા સાબિત થઈ છે.

સમાજમાં વધતા જતા સાયબર ક્રાઈમ અને લાલચ આપીને આચરવામાં આવતા ગુનાઓ સામે જાગૃત રહેવું અનિવાર્ય છે. આવા કિસ્સાઓમાં કાયદાકીય લડત અને ન્યાયતંત્ર પરનો ભરોસો જ પીડિતને ન્યાય અપાવે છે.

 

 

  • Related Posts

    નૌશેરા સેક્ટર (LoC) પાસે માઈન બ્લાસ્ટ: JCO સહિત 4 જવાનો ઈજાગ્રસ્ત

    જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીક મંગળવારે પેટ્રોલિંગ દરમિયાન માઈન બ્લાસ્ટની ઘટના સામે આવી છે. નૌશેરા સેક્ટરના કલાલ ફોરવર્ડ વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટમાં ભારતીય સેનાના ચાર જવાનો ઈજાગ્રસ્ત થયા…

    રાજ્યમાં શિક્ષકોનું આંદોલન જાહેર: 20 જૂન સુધી જિલ્લામાં ધરણા કાર્યક્રમો યોજાશે

    રાજ્યમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો પણ પોતાની માંગણીઓ લઈને આંદોલનના માર્ગે ઉતરવાના છે. વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને TET (શિક્ષક પાત્રતા પરીક્ષા)માંથી મુક્તિ આપવાની મુખ્ય માંગ સાથે રાજ્યવ્યાપી…