નડિયાદ કોર્ટનો ચુકાદો: સગીરા પર અત્યાચાર ગુજારનાર સદામને ૨૦ વર્ષની સજા

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ ।

યત્રૈતાસ્તુ ન પૂજ્યન્તે સર્વાસ્તત્રાફલાઃ ક્રિયાઃ ॥

( જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે, અને જ્યાં નારીનું અપમાન કે શોષણ થાય છે ત્યાં તમામ સત્કર્મો નિષ્ફળ જાય છે.)

પંકજ મકવાણા – નડિયાદ: ખેડા જિલ્લાની નડિયાદ સ્પેશિયલ પોક્સો કોર્ટે સમાજ માટે એક દાખલારૂપ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. લગ્નની લાલચ આપીને એક ૧૬ વર્ષની માસૂમ સગીર દીકરીને વાલીપણામાંથી ભગાડી જઈ, તેની મરજી વિરુદ્ધ અવારનવાર નરાધમ કૃત્ય આચરનાર આરોપી સદામહુસેન યુસુફભાઈ મલેક (રહે. વરસોલા, કસબામાં, તા. મહેમદાવાદ) ને સ્પેશિયલ પોક્સો જજ પી. પી. પુરોહિતે તમામ ગુનાઓમાં કસૂરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. ૩૫,૦૦૦નો આકરો દંડ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે ભોગ બનનાર પીડિત દીકરીને રૂ. ૧,૦૦,૦૦૦ (એક લાખ પુરા) નું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. કાયદાના આ સખત પ્રહારે સમાજમાં ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

બનાવની વિગતો મુજબ, આ કાળજું કંપાવી દેનારી ઘટના તા. ૧૧/૦૬/૨૦૨૧ના રોજ બની હતી. આરોપી સદામહુસેન મલેકે બપોરના સમયે મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામેથી ફરિયાદીની માત્ર ૧૬ વર્ષ અને ૧ માસની સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવીને પોતાની મોટરસાયકલ (નંબર જીજે-૭બી-બીઈ-૬૨૦૬) ઉપર બેસાડી ત્યાંથી તે સગીરાને આંતરસુંબા નદીના અવાવરૂ કોતરોમાં લઈ ગયો હતો અને આખી રાત પોતાની સાથે રાખી તેની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજારી શારીરિક શોષણ કર્યું હતું. આ મામલે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

કોર્ટની કાર્યવાહી દરમિયાન, આ કેસ નડિયાદની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. જ્યાં સરકાર પક્ષ તરફથી મહિલા સરકારી વકીલ યોગીબેન બારોટે ધારદાર રજૂઆતો કરી હતી. સરકારી વકીલે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા અને સાહેદોની અત્યંત મજબૂત જુબાનીઓને ધ્યાને રાખીને, તેમજ તેમની સચોટ દલીલોને ગ્રાહ્ય રાખીને જજ પી. પી. પુરોહિતે આરોપીને કડક સજા સંભળાવી હતી. જેમાં પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ૨૦ વર્ષની સખત કેદ અને ૨૫ હજાર દંડ, તેમજ ઈ.પી.કો. કલમ-૩૬૩ (અપહરણ) અને કલમ-૩૬૬ હેઠળ ૫-૫ વર્ષની સખત કેદ અને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ન ભરે તો તેણે વધુ કેદની સજા ભોગવવી પડશે. કોર્ટના આ ન્યાયથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને કાયદાની સર્વોપરિતા સાબિત થઈ છે.

સમાજમાં વધતા જતા સાયબર ક્રાઈમ અને લાલચ આપીને આચરવામાં આવતા ગુનાઓ સામે જાગૃત રહેવું અનિવાર્ય છે. આવા કિસ્સાઓમાં કાયદાકીય લડત અને ન્યાયતંત્ર પરનો ભરોસો જ પીડિતને ન્યાય અપાવે છે.

 

 

  • Related Posts

    EPI 2026માં ભારતને મોટો ઝટકો: 177 દેશોમાં 176મો ક્રમ, પર્યાવરણ સુધારવા હવે કડક પગલાંની જરૂર

    પર્યાવરણ સુધારવા વિશ્વભરમાં આર્થિક વિકાસની દોડ વચ્ચે પર્યાવરણનું સંરક્ષણ સૌથી મોટો પડકાર બની રહ્યું છે. આ જ પરિસ્થિતિ વચ્ચે જાહેર થયેલા એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ (Environmental Performance Index – EPI) 2026ના અહેવાલે ભારત માટે ચિંતાજનક ચિત્ર રજૂ કર્યું છે. 177 દેશોના મૂલ્યાંકન બાદ ભારતને 176મો ક્રમ મળ્યો છે, એટલે કે ભારત છેલ્લાથી બીજા સ્થાને રહ્યું છે. માત્ર લાઓસ ભારતથી પાછળ રહ્યું છે. પર્યાવરણ સુધારવા યેલ યુનિવર્સિટી અને કોલંબિયા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ અહેવાલે હવાની ગુણવત્તા, આબોહવા પરિવર્તન, જૈવવિવિધતા, કચરા વ્યવસ્થાપન અને પર્યાવરણીય સ્વાસ્થ્ય જેવા અનેક મુદ્દાઓ પર દેશોના પ્રદર્શનનું મૂલ્યાંકન કર્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પરિણામ ભારત માટે માત્ર એક રેન્કિંગ નથી, પરંતુ પર્યાવરણને લઈને ગંભીર ચેતવણી સમાન છે. શું છે Environmental…

    ‘વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ અપશબ્દો સ્વીકાર્ય નથી’: ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નિવેદન

    પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા Gen-Z આંદોલનને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં દરેક નાગરિકને પોતાની વાત રજૂ કરવાનો અને સરકાર કે કોઈ મુદ્દા સામે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો સંપૂર્ણ લોકતાંત્રિક અધિકાર છે. જોકે, વિરોધના નામે અભદ્ર ભાષા, ગાળાગાળી અથવા કોઈના પરિવારને નિશાન બનાવતી ટિપ્પણીઓ કરવી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને અનુરૂપ નથી. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મધ્ય પ્રદેશના કટની જિલ્લાના પ્રવાસે છે. કટનીના કુઠલા વિસ્તારમાં તેમના શિષ્યો દ્વારા નિર્મિત નવા ‘બાગેશ્વર બાલાજી’ મઠના કાર્યક્રમ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે દેશના વર્તમાન સામાજિક વાતાવરણ, યુવાનોની ભૂમિકા અને શાંતિપૂર્ણ વિરોધ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિરોધ લોકશાહીનો મહત્વપૂર્ણ ભાગ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું કે લોકશાહી વ્યવસ્થામાં દરેક વ્યક્તિને…