US-ઈરાન શાંતિ મંત્રણાની અસર: ભારતમાં પેટ્રોલ-ડીઝલ, LPG અને દૈનિક ચીજવસ્તુઓના ભાવમાં મળી શકે રાહત

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાના સમાચાર બાદ વૈશ્વિક બજારોમાં સકારાત્મક અસર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવમાં ઘટાડો નોંધાતા ભારતીય અર્થતંત્રને પણ તેનો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રૂપિયાની મજબૂતી, શેરબજારમાં તેજી અને ક્રૂડ ઓઈલના ઘટતા ભાવ વચ્ચે હવે સામાન્ય લોકોની નજર પેટ્રોલ-ડીઝલ, LPG અને દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓના ભાવ પર ટકેલી છે.

તાજેતરમાં ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો છે. રૂપિયાની કિંમત 95.11થી વધીને 94.65 સુધી પહોંચી છે, જેના કારણે ભારત માટે આયાતી ક્રૂડ ઓઈલની કિંમતમાં રાહત મળી છે. બીજી તરફ શેરબજારમાં પણ જોરદાર તેજી જોવા મળી છે. તેલ અને ગેસ, આઈટી, બેંકિંગ અને ધાતુ ક્ષેત્રના શેરોમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી.

પેટ્રોલ-ડીઝલમાં ક્યારે મળશે રાહત?
નિષ્ણાતોના મતે આગામી 2થી 4 અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની શક્યતા છે. તેલ કંપનીઓ દર 15 દિવસે ભાવોની સમીક્ષા કરતી હોવાથી જુલાઈના પ્રથમ અઠવાડિયામાં પ્રતિ લિટર 4થી 5 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. જોકે તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો હોવાથી ગ્રાહકોને રાહત મળવામાં થોડો સમય લાગી શકે છે.

LPG સિલિન્ડર પણ થઈ શકે સસ્તું
ઘરેલુ LPG ગ્રાહકો માટે પણ સારા સમાચાર મળી શકે છે. વૈશ્વિક બજારમાં LPGના ભાવ ઘટતા જુલાઈના પ્રથમ સપ્તાહમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 30થી 50 રૂપિયાનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં સરકાર LPG પર મોટી સબસિડી આપી રહી છે અને વૈશ્વિક કિંમતોમાં ઘટાડો થતા તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચી શકે છે.

મોંઘવારી પર પણ પડશે અસર
ક્રૂડ ઓઈલના ભાવ માત્ર ઈંધણ પૂરતા મર્યાદિત નથી રહેતા, પરંતુ પરિવહન અને ઉત્પાદન ખર્ચ દ્વારા તમામ ચીજવસ્તુઓને અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં તેલના ભાવ સ્થિર રહેશે તો આગામી મહિનાઓમાં મોંઘવારીના દરમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે સપ્ટેમ્બરથી ડિસેમ્બર વચ્ચે ખાદ્ય પદાર્થો, પેકેજ્ડ ફૂડ, સાબુ, ડિટર્જન્ટ, કપડાં અને અન્ય દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓના ભાવમાં રાહત જોવા મળી શકે છે.

ત્રણ તબક્કામાં મળશે રાહત
મોંઘવારીમાં ઘટાડાની અસર ત્રણ તબક્કામાં જોવા મળી શકે છે. પ્રથમ તબક્કામાં કાચા માલ અને ઔદ્યોગિક ઉત્પાદનો સસ્તા થશે. બીજા તબક્કામાં ઉત્પાદન ખર્ચ ઘટવાથી જથ્થાબંધ બજારમાં અસર દેખાશે. જ્યારે ત્રીજા તબક્કામાં એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન સામાન્ય ગ્રાહકોને રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાનો સીધો લાભ મળી શકે છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઘટાડો થયા બાદ પણ તે અગાઉના નીચા સ્તરે પહોંચવાની શક્યતા ઓછી છે. તેથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળશે, પરંતુ જૂના દરો પર પાછા ફરવાની સંભાવના હાલ ઓછી દેખાઈ રહી છે.

 

 

 

  • Related Posts

    નૌશેરા સેક્ટર (LoC) પાસે માઈન બ્લાસ્ટ: JCO સહિત 4 જવાનો ઈજાગ્રસ્ત

    જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીક મંગળવારે પેટ્રોલિંગ દરમિયાન માઈન બ્લાસ્ટની ઘટના સામે આવી છે. નૌશેરા સેક્ટરના કલાલ ફોરવર્ડ વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટમાં ભારતીય સેનાના ચાર જવાનો ઈજાગ્રસ્ત થયા…

    રાજ્યમાં શિક્ષકોનું આંદોલન જાહેર: 20 જૂન સુધી જિલ્લામાં ધરણા કાર્યક્રમો યોજાશે

    રાજ્યમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો પણ પોતાની માંગણીઓ લઈને આંદોલનના માર્ગે ઉતરવાના છે. વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને TET (શિક્ષક પાત્રતા પરીક્ષા)માંથી મુક્તિ આપવાની મુખ્ય માંગ સાથે રાજ્યવ્યાપી…