ઈરાન-અમેરિકા શાંતિ કરાર પર સંકટ? લેબેનૉનમાં ઈઝરાયલના હુમલાઓથી ટ્રમ્પની ‘સંડે ડીલ’ પર સવાલ

મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાના અમેરિકાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે સંભવિત ઐતિહાસિક શાંતિ કરારની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ તે વચ્ચે ઈઝરાયલે દક્ષિણ લેબેનૉનમાં ફરી એકવાર ભારે હવાઈ હુમલાઓ શરૂ કરતાં સમગ્ર પ્રક્રિયા પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે.

તાજેતરના હુમલાઓ બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ મહત્વપૂર્ણ સમજૂતી શક્ય બનશે કે નહીં.

ઈરાને મૂકી કડક શરત
ઈરાની મીડિયા અહેવાલો મુજબ, અમેરિકા સાથેના સંભવિત કરાર માટે તેહરાને સ્પષ્ટ શરત મૂકી છે. ઈરાનનું કહેવું છે કે લેબેનૉન સહિત તમામ મોરચાઓ પર ઈઝરાયલે પોતાની સૈન્ય કાર્યવાહી અને હવાઈ હુમલાઓ તાત્કાલિક બંધ કરવા પડશે. ઈરાનના મતે આ શરત વિના કોઈપણ પ્રકારનો શાંતિ કરાર શક્ય નથી.

ઈઝરાયલના હુમલાઓ યથાવત
ઈરાનની આ માંગ છતાં ઈઝરાયલે દક્ષિણ લેબેનૉનમાં હિઝબુલ્લાહના કથિત ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલાઓ ચાલુ રાખ્યા છે. આ પરિસ્થિતિમાં અમેરિકાની મધ્યસ્થતાની કોશિશોને મોટો પડકાર મળી રહ્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જ્યાં સુધી ઈઝરાયલ પોતાની સૈન્ય કાર્યવાહી અટકાવશે નહીં, ત્યાં સુધી ઈરાન કોઈપણ ઔપચારિક કરાર પર આગળ વધવાની શક્યતા ઓછી છે.

ધડાકાઓથી ધ્રૂજ્યું દક્ષિણ લેબેનૉન
દક્ષિણ લેબેનૉનમાં સતત થતા હવાઈ હુમલાઓ અને વિસ્ફોટોના અહેવાલો સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્તરે તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ વ્હાઇટ હાઉસ સતત સીઝફાયર માટે રાજદ્વારી પ્રયાસો કરી રહ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ટ્રમ્પ સામે મોટી કસોટી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે હવે સૌથી મોટો પડકાર ઈઝરાયલને હુમલાઓ રોકવા માટે મનાવવાનો છે. જો અમેરિકા આ દિશામાં સફળ નહીં થાય તો લાંબા સમયથી ચર્ચામાં રહેલો સંભવિત અમેરિકા-ઈરાન કરાર જાહેર થાય તે પહેલાં જ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. મધ્ય પૂર્વમાં વધતી અસ્થિરતા વચ્ચે હવે સમગ્ર વિશ્વની નજર અમેરિકા, ઈરાન અને ઈઝરાયલના આગામી પગલાં પર ટકેલી છે. આગામી દિવસોમાં લેવામાં આવતા નિર્ણયો વિસ્તારની સુરક્ષા અને વૈશ્વિક રાજનીતિ પર મહત્વપૂર્ણ અસર કરી શકે છે.

 

 

  • Related Posts

    ઓમાનમાં ભારતીય નાવિકનું મોત, FSUIએ ઉઠાવ્યા ગંભીર સવાલ

    ઓમાનના દુકમ બંદર પર ડોક કરાયેલા એક ટેન્કર જહાજમાં ભારતીય નાવિકના મૃત્યુ બાદ વિવાદ સર્જાયો છે. વિશ્વભરના ભારતીય નાવિકોનું પ્રતિનિધિત્વ કરતી ફોરવર્ડ સીમેન યુનિયન ઓફ ઈન્ડિયા (FSUI)એ જહાજ માલિકો અને…

    MPમાં ટ્રેનમાં આગની અફવાએ લીધો 4 લોકોનો જીવ, ગભરાઈને કૂદેલા મુસાફરોને બીજી ટ્રેને અડફેટે લીધા

    મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં રવિવારે એક હૃદયદ્રાવક રેલ દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રેનમાં આગ લાગ્યાની અફવા ફેલાતા ગભરાયેલા મુસાફરો ચાલુ ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. જોકે, પાટા પર ઉતરેલા મુસાફરોને સામેથી આવી રહેલી…