રાજકોટ જિલ્લામાં શિક્ષકોને વધુ એક વધારાની જવાબદારી સોંપવામાં આવતા શિક્ષક વર્ગમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા જાહેર કરાયેલા પત્ર અનુસાર હવે શાળાઓની આસપાસ તમાકુ વેચાણ પર નજર રાખવાની તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ પાસેથી દંડ વસુલવાની જવાબદારી શિક્ષકો, આચાર્યો અને સરપંચોને સોંપવામાં આવી છે.
પત્રમાં જણાવ્યા મુજબ શાળાથી 100 મીટરના પરિસરમાં કોઈપણ વેપારી દ્વારા તમાકુનું વેચાણ થાય છે કે નહીં તેની દેખરેખ રાખવાની ફરજ રહેશે. જો કોઈ વેપારી તમાકુ વેચતા ઝડપાય તો શિક્ષક, આચાર્ય અથવા સરપંચ દ્વારા તેની સામે કાર્યવાહી કરી દંડ વસુલવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પત્રમાં આગળ એવું પણ જણાવાયું છે કે શાળાની ઓચિંતી મુલાકાત દરમિયાન જો આવી કોઈ ઘટના સામે આવશે તો સંબંધિત શિક્ષક અથવા આચાર્ય સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
આ નિર્ણયને લઈને શિક્ષક સંઘોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષક સંગઠનોનું કહેવું છે કે આવી કાર્યવાહી પોલીસ વિભાગ અથવા ગ્રામ પંચાયત દ્વારા થવી જોઈએ. શિક્ષકો અને આચાર્યોને દંડ વસુલવાની કામગીરી સોંપવી યોગ્ય નથી.
શિક્ષક સંઘોએ સરકાર પાસે માંગ કરી છે કે શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે. સાથે જ આ મુદ્દે શિક્ષક સંગઠનો દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in




