વિધાનસભા ગૃહ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલા એમઓયુની વિગતો આપતાં પ્રવાસન રાજ્યમંત્રી જયરામ ગામિતે જણાવ્યું કે VGRC-2025 અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન માટે કુલ ₹1,527.56 કરોડના રોકાણ માટે એમઓયુ કરવામાં આવ્યાં છે.
પ્રવાસન રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં પ્રવાસન અને આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનાં પગલાં લેવામાં આવ્યાં છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પ્રવાસન સુવિધાઓ ઊભી કરવા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા તથા સ્થાનિક સ્તરે રોજગારી અને આવકના સ્રોતમાં વધારો કરવા વ્યૂહાત્મક એમઓયુ કરવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં ઈકો-ટૂરિઝમના વિકાસ માટે અને હોટલો, રિસોર્ટ્સ અને એડવાન્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેવા પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવશે. નિષ્ણાત સંસ્થાઓ સાથે ચાર જેટલાં સ્ટ્રેટેજિક એમઓયુ પણ કરવામાં આવ્યાં છે. જેનો હેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાવેલ એગ્રિગેટર અને હેરિટેજ મિલકતોનો વિકાસ કરવાનો હોવાનું ગામિતે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ્સ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે. ખાસ કરીને, રણ વિસ્તારમાં ઉદ્યોગો અને રોજગારીને પ્રોત્સાહન મળશે. તદુપરાંત, ઐતિહાસિક અને હેરિટેજ મિલકતોને રક્ષણ મળવાની સાથે વારસાનું જતન પણ થશે. હેરિટેજ હોટલ અને સાંસ્કૃતિક કેન્દ્રોનો વિકાસ થતાં સ્થાનિક હસ્તકલા તથા લોકકલાને વેગ મળશે.
આ સિવાય, પ્રવાસીઓ માટે ઓનલાઇન બુકિંગ, ગાઈડન્સ સેવાઓ અને પેકેજ ટૂર જેવી સુવિધાઓ એકીકૃત પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ આયોજનથી ગુજરાતની ‘બ્રાન્ડ ઇમેજ’ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત બનશે અને રાજ્યના પ્રવાસન ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થશે તેવો વિશ્વાસ રાજ્યમંત્રી ગામિતે વ્યક્ત કર્યો હતો.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






