અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કાબુલ સહિત અનેક અફઘાન શહેરોમાં પાકિસ્તાની હવાઈ હુમલાઓના દાવાઓ વચ્ચે હવે સરહદ પર ગોળીબાર અને તોફાનમય સ્થિતિ સર્જાઈ છે.
પાકિસ્તાની હવાઈ હુમલાનો દાવો
9 ઓક્ટોબરની રાત્રે, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને અન્ય પ્રદેશોમાં વિસ્ફોટોની જાણ થઈ હતી. તાલિબાન શાસિત અફઘાનિસ્તાનના દાવા અનુસાર, આ હુમલાઓ પાકિસ્તાની વાયુસેનાએ કર્યા હતા. આ હુમલાઓને ‘અક્ષમ્ય અગ્રેસન’ ગણાવતાં અફઘાનિસ્તાનએ આંતરરાષ્ટ્રીય સ્તરે નારાજગી વ્યક્ત કરી છે.
સરહદે ઘમાસાણ
11 ઓક્ટોબરે રાત્રે, અફઘાન-પાક સરહદના કુનાર, દંગમ, બિરકોટ, પક્તિયા અને ખોસ્ટ જેવા વિસ્તારોમાં ગોળીબાર શરૂ થયો હતો. સ્થાનિક અહેવાલો મુજબ, અફઘાન દળોએ પાકિસ્તાની ચોકીઓ અને સૈનિક ઢાંચાઓ પર ઘાતકી હુમલાઓ કર્યા. તેમના દાવા અનુસાર, આ હુમલાઓ “પાકિસ્તાની હુમલાઓનો પ્રતિસાદ” છે.
બંને તરફ હાઇ એલર્ટ
દાંડ પાટણ અને ઝાજી મેદાની જેવા વિસ્તારોમાં તોફાનમય સ્થિતિ છે. બંને દેશોની સેનાઓએ હાઇ એલર્ટ જાહેર કર્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાની સૈનિકોએ નાગરિક વિસ્તારોને પણ નિશાન બનાવ્યા છે, જેના કારણે ગ્રામિણ લોકોમાં ભયનો માહોલ છે અને ગામો ખાલી થવા લાગ્યા છે.
પાકિસ્તાની દળોની પીછેહઠ
અફઘાન દળોના જવાબી હુમલાઓ બાદ કેટલીક પાકિસ્તાની ચોકીઓમાં પીછેહઠ પણ નોંધાઈ છે. સૂત્રો અનુસાર, પાકિસ્તાનના ડ્રોન સર્વેલન્સ અને રડાર સિસ્ટમને પણ નુકસાન થયું છે. અફઘાન દળોએ કેટલાક સરહદી દરવાજા પણ નાશ કર્યાનું માનવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા
વિશેષ વાત એ છે કે આ ઘટના એ સમયે થઈ છે જ્યારે અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી ભારતની સરકારી મુલાકાતે છે. તેઓ ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો સુધારવાના પ્રયાસમાં છે, પરંતુ સરહદે વધી રહેલી તણાવપૂર્ણ સ્થિતિ તેમની મુલાકાત પર પણ અસર પાડી શકે છે.
શું અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે યુદ્ધ જાહેર કર્યું?
હાલમાં સુધી કોઈ અધિકૃત રીતે “યુદ્ધનું એલાન” કરાયું નથી. જોકે તણાવ અને અથડામણોની ગંભીરતા જોતા વિશ્લેષકો કહી રહ્યા છે કે હાલની પરિસ્થિતિ અઘોષિત યુદ્ધ જેવી લાગી રહી છે. બંને દેશો આ સમયે આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણ હેઠળ આવી શકે છે.






