પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સૈન્યના હુમલાને પગલે પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક સ્થિત કરતારપુર કોરિડોર બુધવારે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સેનાએ નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલાની પૃષ્ઠભૂમિમાં સાવચેતીના પગલાં રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કરતારપુર કોરિડોર ભારતના ડેરા બાબા નાનકને પાકિસ્તાનના કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબ સાથે જોડે છે, જ્યાં શીખ ધર્મના સ્થાપક શ્રી ગુરુ નાનક દેવે જીવનના છેલ્લાં દિવસો વિતાવ્યા હતા. આ સ્થળ શીખ સમુદાય માટે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે.
તણાવ વચ્ચે બુધવારે મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓ ગુરદાસપુર પહોંચ્યા હતા, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ તેમને પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું. કરતારપુર કોરિડોર મારફતે દરરોજ 5000 શ્રદ્ધાળુઓ વિઝા વિના પાર્શ્વવર્તી દેશે જતા હોય છે.
આ કોરિડોરનું ઉદ્ઘાટન 9 નવેમ્બર 2019ના રોજ ગુરુ નાનક દેવજીની ૫૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભારત અને પાકિસ્તાન સરકાર વચ્ચે થયેલા કરાર આધારે કરવામાં આવ્યું હતું.






