તહવ્વુર રાણાને NIAની ટીમ લાવી રહી છે દિલ્હી, ખાસ કોર્ટમાં કરવામાં આવશે રજૂ

NIAની સાત સભ્યોની ટીમ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર રાણાને અમેરિકાથી દિલ્હી લાવી રહી છે. દિલ્હી પહોંચ્યા બાદ, રાણાની તબીબી તપાસ કરવામાં આવશે, અને ત્યારબાદ તેને NIA સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાણાની પૂછપરછ કરવા માટે કોર્ટ પાસેથી તેની કસ્ટડી માંગવામાં આવશે. પૂછપરછની આ પ્રક્રિયા ઘણા અઠવાડિયા સુધી ચાલી શકે છે, જેમાં મુંબઈ હુમલા અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્ક વિશે માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવશે.

ભારત લાવ્યા બાદ, તહવ્વુરને તિહાર જેલના ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવે તેવી શક્યતા છે. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાણાને જેલમાં રાખવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેઓ કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા છે જેથી રાણાને ન્યાયિક કસ્ટડીમાં મોકલી શકાય. રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે અને અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીનો નજીકનો સાથી છે.

મહત્વના મુદાઓને લઈ થશે પૂછપરછ
NIA રાણા પાસેથી જાણવાનો પ્રયાસ કરશે કે મુંબઈ હુમલાના કાવતરામાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI ની શું ભૂમિકા હતી. પૂછપરછ દરમિયાન, રાણા પાસેથી હેડલી સાથેના તેના સંબંધો કેટલા હતા અને તેને ભારત માટે વિઝા અપાવવામાં તેણે શું ભૂમિકા ભજવી હતી તે પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. રાણાને પોતાના બચાવ માટે વકીલની નિમણૂક કરવાનો અધિકાર રહેશે, અને તે કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરી શકશે.

ડેવિડ કોલમેન હેડલી સાથે ગાઢ સંબંધ
તહવ્વુર રાણાના પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે ગાઢ સંબંધો હતા. હેડલી 26/11 ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો, જેણે 2008 માં પાકિસ્તાનથી 10 આતંકવાદીઓના ગ્રુપ સાથે મુંબઈમાં ઘૂસણખોરી કરી હતી અને મુંબઈમાં આતંકવાદી હુમલો કર્યો હતો. રાણાએ હેડલીને ભારતનો વિઝા મેળવવામાં મદદ કરી હતી, જે હુમલાના કાવતરાનો મુખ્ય ભાગ હતો.

અમેરિકાથી રાણાનું પ્રત્યાર્પણ: મોદી સરકાર માટે મોટી સફળતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજદ્વારી કુશળતાને કારણે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને ભારતમાં એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસ ખાતે વડા પ્રધાન મોદી સાથેની પ્રેસ કોન્ફરન્સમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમનું વહીવટીતંત્ર ભારતમાં ન્યાયનો સામનો કરવા માટે રાણાને પ્રત્યાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ મોદી સરકારની એક મોટી રાજદ્વારી જીત છે, જે ભારત પર હુમલો કરનારાઓને ન્યાય અપાવવાનો પ્રયાસ કરી રહી છે.

કોંગ્રેસ પર કટાક્ષ
ગૃહમંત્રી અમિત શાહે આડકતરી રીતે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે 2008માં મુંબઈ હુમલા વખતે જે લોકો સત્તામાં હતા તેઓ રાણાને કેસનો સામનો કરવા માટે ભારતમાં લાવી શક્યા નહીં. શાહે આને વડાપ્રધાન મોદીની રાજદ્વારીની સફળતા ગણાવી, જેના કારણે રાણાનું પ્રત્યાર્પણ શક્ય બન્યું.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, લાગ્યો હતો મોટો આરોપ

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે તેમની સામેના સાપના ઝેરના કેસને ફગાવી દીધો છે. યુટ્યુબર પર નવેમ્બર…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *