ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઠંડીનું જોર ઘટી રહ્યું છે. આવી સ્થિતિમાં શિયાળો વિદાય તરફ જઈ રહ્યો છે તેવું આપણે બોલી શકીએ. હવે થોડા જ દિવસોમાં ઉનાળાનો પ્રારંભ થશે. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે ત્રણ દિવસ ગરમ અને ભેજવાળા હવામાનની આગાહી કરી છે.
ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં જ એપ્રિલ મહિના જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ બાદ ઉકળાટ જોવા મળ્યો. શિવરાત્રી તહેવાર આવતા જ ઠંડી વિદાય લઈ રહી છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે. મહાનગરોનું તાપમાન અંદાજે 32 ડિગ્રી આસપાસ જોવા મળ્યું.
-> મહત્તમ તાપમાનમાં વધારો :- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઉકળાટનું પ્રમાણ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌથી વધુ ગરમીની અસર કચ્છમાં જોવા મળશે. ગત 25 ફેબ્રુઆરીના રોજ સૌથી વધુ દમણ અને સુરતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું. જ્યારે અમદાવાદમાં 34.9, ગાંધીનગરમાં 35 ડિગ્રી, ડીસામાં 33.2, વડોદરામાં 35, નલિયામાં 35.6 ડિગ્રી નોંધાયું, વડોદરા 35.0 ડિગ્રી, અમરેલી 36.2 ડિગ્રી, ભાવનગર 35.4 ડિગ્રી, પોરબંદર 36.5 ડિગ્રી, રાજકોટ 36.9 ડિગ્રી અને મહુવામાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું.






