પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લાગવા પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાત માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કુંભમાં સ્નાન કરવા ગયેલા નવસારી જિલ્લાના વાંસદાના યુવાનનું મોત થયું છે. વાંસદાના રાણીફળિયા ગામના 35 વર્ષીય યુવકનું મહાકુંભના મેળામાં મોત થયું છે. થોડા સમય પહેલા પણ નવસારીમાં રહેતા 57 વર્ષીય સ્વાતિ કિરણભાઈ પટેલ સંબંધીઓ સાથે કુંભમેળાની યાત્રા પર ગયા હતા. આ દરમ્યાન વાહન અકસ્માતમાં ઈજાના કારણે સ્વાતિબેનનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, યુવક વિવેક પટેલ જયારે સ્નાન કરવા માટે ગયો ત્યારે અચાનક ચક્કર ખાઈ ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. યુવકના પરિવારમાં સમાચાર પહોંચતા શોક છવાયો છે. હાલ યુવકના મૃતદેહને વતન લાવવા માટે સાંસદ સભ્ય દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સાંસદ ધવલ પટેલને સમગ્ર બાબતની જાણ થતા તેઓએ સંવેદના વ્યક્ત કરી અને યુવકના મૃતદેહને વતન રાણીફળિયામાં લાવવા માટે વ્યવસ્થા કરી છે.
નવસારીના ધર્મિનગરના જલારામનગરના રહેવાસી સ્વાતિબેન કિરણભાઈ પટેલ કુંભમેળામાં જવા નીકળ્યા હતા. આ દરમ્યાન રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે ચિત્રકૂટ નજીક અજાણ્યા વાહને તેમની ટવેરા કારને ઓવરટેક કરવા જતાં સાઈડમાંથી ટક્કર મારી હતી. જેમાં સ્વાતિબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. જેથી તેઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.








