દિલ્હી: PM આવાસ બહાર કોંગ્રેસનું ધરણું, રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત

દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે. કોંગ્રેસે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ સુધી વિરોધ માર્ચ કાઢી ધરણું શરૂ કર્યું હતું. આ દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો અને પોલીસે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત અનેક વિપક્ષી નેતાઓની અટકાયત કરી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકાર વિદ્યાર્થીઓના પ્રશ્નોનો જવાબ આપવાના બદલે વિરોધનો અવાજ દબાવી રહી છે, જ્યારે ભાજપે સમગ્ર ઘટનાને રાજકીય નાટક ગણાવી છે.

દિલ્હી વડાપ્રધાનના આવાસ સુધી આશરે 7 કિલોમીટરની પદયાત્રા

દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય સાંસદોએ ખડગેના નિવાસસ્થાનેથી વડાપ્રધાનના આવાસ સુધી આશરે 7 કિલોમીટરની પદયાત્રા કાઢી હતી. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને આગળ વધતા રોક્યા હતા. બાદમાં સ્થિતિ તંગ બનતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સહિતના અનેક નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં પોલીસ રાહુલ ગાંધીને ટીંગાટોળી કરીને અને અખિલેશ યાદવને ખેંચીને લઈ જતી જોવા મળી રહી છે.

દિલ્હીમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી કોંગ્રેસનો વિરોધ ચાલુ રહેશે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓના પ્રશ્નોથી ભાગી શકશે નહીં અને દેશના યુવાનોને ન્યાય અપાવવા માટે લડત ચાલુ રહેશે. તેમણે દેશવાસીઓને પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં આગળ આવવા અપીલ કરી હતી.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના પ્રદર્શન સ્થળે પહોંચ્યા હતા. તેમણે પોલીસ કાર્યવાહીની ટીકા કરતાં કહ્યું કે વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર યોગ્ય નથી. તેમણે પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે પોતાનો સંઘર્ષ ચાલુ રાખવા અપીલ કરી હતી.

વિરોધ પ્રદર્શનમાં કેરળના વિરોધ પક્ષના નેતા વી.ડી. સતીશન, કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર, એનસીપી (શરદ પવાર જૂથ)ની સાંસદ સુપ્રિયા સુલે અને શરદ પવાર સહિત અનેક વિપક્ષી નેતાઓ પણ જોડાયા હતા. જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને વિવિધ રાજકીય પક્ષોનું સમર્થન મળતું રહ્યું છે.

વિદ્યાર્થી સંગઠન CJPએ પણ પોતાનો વિરોધ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. CJPના પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું કે તેઓ દિલ્હી પોલીસ મુખ્યાલય બહાર ફરીથી શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે. તેમના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકાર વિદ્યાર્થીઓની વાજબી માંગ પર ચર્ચા કરવાને બદલે પોલીસના બળનો ઉપયોગ કરી રહી છે. કોંગ્રેસ અભિયાન સમિતિના અધ્યક્ષ ચરણજીત સિંહે કહ્યું કે ભાજપ સરકાર વિદ્યાર્થીઓના અવાજને દબાવવા માંગે છે. કોંગ્રેસ સાંસદ સુખજિંદર સિંહ રંધાવાએ પણ પોલીસ કાર્યવાહીની ટીકા કરતાં કહ્યું કે જો ચૂંટાયેલા સાંસદો સાથે આવો વ્યવહાર થાય છે તો સામાન્ય વિદ્યાર્થીઓની સ્થિતિ શું હશે તેનો અંદાજ લગાવી શકાય.

વિરોધ બાદ વડાપ્રધાનના નિવાસસ્થાનની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. RAF સહિત વધારાના સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો.

પોલીસ કાર્યવાહીમાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ અને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલે હોસ્પિટલ પહોંચીને ઘાયલ વિદ્યાર્થીઓના હાલચાલ પૂછ્યા હતા તેમજ તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.

 સાંસદ અરુણ ભારતીએ શું કહ્યું
બીજી તરફ લોક જનશક્તિ પાર્ટીના સાંસદ અરુણ ભારતીએ કહ્યું કે વિપક્ષને સંસદમાં સરકાર સામે અવાજ ઉઠાવવાનો અધિકાર છે, પરંતુ વડાપ્રધાનના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કરવું માત્ર રાજકીય ડ્રામા સમાન છે.

વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં વંચિત બહુજન આઘાડીએ 23 જુલાઈએ મહારાષ્ટ્ર બંધનું એલાન પણ આપ્યું છે. પક્ષ પ્રમુખ પ્રકાશ આંબેડકરે નાગરિકો અને વિવિધ સંગઠનોને શાંતિપૂર્ણ બંધમાં જોડાવા અપીલ કરી છે.

કોંગ્રેસે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર જણાવ્યું કે વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહીના વિરોધમાં પાર્ટી રસ્તા પર ઉતરી છે અને વડાપ્રધાન, ગૃહમંત્રી તેમજ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહી છે. જોકે સમગ્ર ઘટનાને લઈને કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર વિગતવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓના મુદ્દે શરૂ થયેલો આ વિરોધ હવે રાજકીય સંઘર્ષનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ઘમાસાણ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related Posts

2026 : ગુજરાત સરકારનું મોટું પગલું : Relief : હવે દરેક જિલ્લામાં જ મળશે વ્યસનમુક્તિ અને પુનર્વસનની સુવિધા : Breakthrough

ગાંધીનગર: રાજ્યમાં વ્યસનમુક્તિ અભિયાનને વધુ અસરકારક અને સુવ્યવસ્થિત બનાવવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રાજ્યની તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડની ક્ષમતા ધરાવતા આધુનિક ડી-એડિક્શન (વ્યસનમુક્તિ) સેન્ટર…

જમ્મુ-કાશ્મીરમાં આકાશી આફત: 24 લોકોના મોત, અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત

જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ અને ખરાબ હવામાને ભારે તબાહી મચાવી છે. રાજ્યના અનેક પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, મકાનો ધરાશાયી થવા અને પૂર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત બની…