ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માના પ્રદર્શન પર સવાલો ઉઠ્યા હતા, જે બાદ તેને સુકાની પદ પરથી હટાવવાની વાતો સામે આવવા લાગી હતી. એવી અટકળો પણ કરવામાં આવી હતી કે રોહિત ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી (IND vs ENG, ટેસ્ટ સિરીઝ)નો ભાગ નહીં હોય અને કેપ્ટનશિપ પણ ગુમાવશે. પરંતુ આ તમામ બાબતો બાદ હવે BCCI એક મોટો નિર્ણય લેવાનું વિચારી રહી છે.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, રોહિત શર્મા ઈંગ્લેન્ડમાં વરિષ્ઠ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, તેમ છતાં તેનું પ્રદર્શન સારું રહ્યું નથી અને ભારતને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. આપને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયામાં રોહિતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જ્યાં તેણે 3 મેચમાં માત્ર 31 રન જ બનાવ્યા હતા અને સિડનીમાં રમાનારી છેલ્લી ટેસ્ટ મેચમાં પણ તે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. જો કે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની જીત બાદ પસંદગીકારો તેને સુકાની પદ પરથી હટાવે નહીં.
રિપોર્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે, BCCI પસંદગી સમિતિ IPL 2025ના છેલ્લા સપ્તાહ દરમિયાન ઈંગ્લેન્ડ શ્રેણી માટે ટીમ વિશે મોટો સંકેત આપશે. “ટીમની જાહેરાત કરવા માટે પૂરતો સમય છે, મોટાભાગે નોકઆઉટ પહેલા અથવા તે મેચો પછી… પછી તમને સ્પષ્ટ ચિત્ર મળશે કે ત્યાં સુધીમાં કયા ખેલાડીઓ ઉપલબ્ધ છે.”
ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પ્રથમ ચાર દિવસીય મેચ 30 મેથી સેન્ટ લોરેન્સ, કેન્ટરબરીના સ્પિટફાયર ગ્રાઉન્ડ પર યોજાશે. બીજી મેચ એક અઠવાડિયા પછી 6 જૂને નોર્થમ્પટનના કાઉન્ટી ગ્રાઉન્ડ પર શરૂ થવાની છે.” આપને જણાવી દઈએ કે, ભારતીય ટીમ જૂનમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જશે અને પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમશે.








