આણંદમાં વંદે ભારત ટ્રેનને સ્ટોપેજની લીલીઝંડી મળતા મુસાફરોમાં ખુશીની લહેર જોવા મળી છે. આણંદને એ ગ્રેડનુ રેલવે સ્ટેશન બનાવવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે શહેરમા ટ્રેન નં. 22962 અમદાવાદ-મુંબઇ વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા માટે સોજીત્રાના ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલે ગત 8મી ફેબ્રુઆરીના રોજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજુઆત કરી હતી. જેને ધ્યાને લઇને રેલવેમંત્રીએ વંદેભારત ટ્રેનને આણંદમા સ્ટોપેજ આપવા માટે લીલીઝંડી આપતા મુસાફરોને ટ્રેનમાં મુસાફરી માટે અમદાવાદ- વડોદરા સુધીનુ ચક્કર કાપવામાંથી મુક્તિ મળી છે.
આણંદ શહેર તેમજ જિલ્લાના વિકાસ વિસ્તારને ધ્યાને લેતા શહેરના રેલવે સ્ટેશન ઉપર દૈનિક હજારો મુસાફરોની આવનજાવન તેમજ સમયાંતરે વ્યક્તિવિશેષ મહેમાનોની મુલાકાતને લઇને આણંદને તબક્કાવાર મહત્વની ટ્રેનોના સ્ટોપેજ ફાળવાયા છે. ત્યાર અમદાવાદ મુંબઇ વચ્ચે 5 કલાક 25 મિનીટમાં 491 કિમીનુ અંતર કાપતી ટ્રેન નં.22962 અમદાવાદ-મુંબઇ વંદે ભારત ટ્રેનમા સ્થાનિક મુસાફરોને અમદાવાદ કે વડોદરા રેલવે સ્ટેશનથી ટ્રેનમા યાત્રા કરવી પડતી હતી.







