અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ ગામની સીમમાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. જોકે, SITમાં માત્ર પોલીસ અધિકારીઓને જ સ્થાન અપાતા અનેક સવાલો ઊભા થયા છે.
શનિવારે (18 જુલાઈ) મહેમદપુરા વિસ્તારમાં આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ તંત્રે કાર્યવાહી કરતાં ફેક્ટરીનું જેસીબીથી ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સાથે જ આસપાસ પરવાનગી વિના ચાલતી અન્ય બે ફેક્ટરીઓને પણ સીલ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનરે SITની રચના કરી છે.
પોલીસ અધિકારીઓની SIT
આ સમગ્ર ઘટનાની તપાસ માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે. ટીમમાં રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સંબંધિત એસીપી અને ડીસીપી સહિત પોલીસ અધિકારીઓને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે.
અન્ય વિભાગોના અધિકારીઓનો સમાવેશ નહીં
સામાન્ય રીતે આવી ગંભીર દુર્ઘટનાઓની તપાસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગ, ફાયર બ્રિગેડ, કલેક્ટર કચેરી, વીજ વિભાગ સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, આ SITમાં આવા કોઈપણ વિભાગના અધિકારીઓને સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યા નથી. માહિતી મુજબ, સંબંધિત વિભાગોને માત્ર જરૂરી સંકલન અને માહિતી ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે, પરંતુ તપાસ ટીમના સભ્ય તરીકે તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
તપાસને લઈને ચર્ચા
SITમાં માત્ર પોલીસ અધિકારીઓને જ સામેલ કરવાના નિર્ણયને લઈને વિવિધ સ્તરે ચર્ચા શરૂ થઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે ગેરકાયદે ફેક્ટરી કેવી રીતે ચાલી રહી હતી, સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં અને વિવિધ વિભાગોની જવાબદારી શું હતી, તેની અસરકારક તપાસ માટે બહુવિધ વિભાગોના અધિકારીઓનો સમાવેશ વધુ ઉપયોગી બની શકે છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ શરૂ કરવામાં આવી છે અને દુર્ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






