CNG-LPG સસ્તા થશે? ભારત-ઓમાન ગેસ પાઇપલાઇન બદલશે ઊર્જા ક્ષેત્રનું ગણિત

ભારત પોતાની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે હવે એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરફ આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકાર ₹40,000 કરોડના ખર્ચે મધ્ય પૂર્વ-ભારત ડીપવોટર પાઇપલાઇન (MEIDP) પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જે ઓમાનના દરિયાકાંઠાને સીધું ગુજરાત સાથે જોડશે. આ પાઇપલાઇન સમુદ્રની અંદર આશરે 3.5 કિલોમીટરની ઊંડાઈએ બિછાવવામાં આવશે. વિશેષજ્ઞોના મતે આ પ્રોજેક્ટ સફળ બનશે તો ભારતની ઊર્જા સુરક્ષા મજબૂત બનશે અને ભવિષ્યમાં CNG તથા LPGના ભાવમાં પણ રાહત મળી શકે છે.

ઓમાનથી સીધો ગુજરાત સુધી ગેસ સપ્લાય
MEIDP પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગલ્ફ દેશોમાંથી કુદરતી ગેસ સીધો ભારતમાં પહોંચાડવાનો છે. હાલ ભારત ગેસ આયાત માટે સમુદ્રી માર્ગો અને અન્ય દેશો પર નિર્ભર છે, પરંતુ નવી પાઇપલાઇનથી ઓમાનથી સીધી ગુજરાત સુધી ગેસ સપ્લાય શક્ય બનશે. આ પ્રોજેક્ટ ભારતને સતત અને સુરક્ષિત ગેસ સપ્લાય પૂરો પાડવામાં મદદરૂપ બનશે.

પાકિસ્તાનનો અવરોધ કાયમ માટે દૂર થશે
આ પાઇપલાઇનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે પાકિસ્તાનને બાયપાસ કરશે. અત્યાર સુધી ઈરાન અથવા મધ્ય એશિયાથી ગેસ લાવવા માટે ભારતને પાકિસ્તાનના માર્ગની જરૂર પડતી હતી. પરંતુ પાકિસ્તાન તરફથી ઊંચી ટ્રાન્ઝિટ ફી, રાજકીય તણાવ અને સુરક્ષા ચિંતાઓને કારણે અગાઉના ઘણા પ્રોજેક્ટ અટવાઈ ગયા હતા.

IPI અને TAPI પ્રોજેક્ટ કેમ નિષ્ફળ રહ્યા?
– IPI પાઇપલાઇન પ્રોજેક્ટ
ઈરાન-પાકિસ્તાન-ભારત (IPI) પાઇપલાઇન પ્રોજેક્ટ હેઠળ ગેસ જમીન માર્ગે ભારતમાં લાવવાનો પ્લાન હતો. પરંતુ સુરક્ષા ચિંતાઓ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે ભારતે વર્ષ 2009માં આ પ્રોજેક્ટમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો.

– TAPI પ્રોજેક્ટ
તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત (TAPI) પ્રોજેક્ટ પણ લાંબા સમયથી અટવાયેલો છે. અફઘાનિસ્તાનની અસ્થિર પરિસ્થિતિ અને ભારત-પાકિસ્તાન સંબંધોના કારણે આ યોજના હજુ સુધી પૂર્ણ થઈ શકી નથી.

સમુદ્રની અંદર 3.5 કિમી ઊંડાઈએ બનશે પાઇપલાઇન
MEIDP પ્રોજેક્ટ ટેક્નિકલ રીતે પણ ખૂબ પડકારજનક માનવામાં આવે છે. પાઇપલાઇન અરબી સમુદ્રમાં આશરે 3.5 કિલોમીટરની ઊંડાઈએ બિછાવવામાં આવશે. આટલી ઊંડાઈએ પાણીનું દબાણ ખૂબ વધારે હોય છે, જેના કારણે પાઇપલાઇન માટે ખાસ સ્ટીલ, અદ્યતન વેલ્ડિંગ અને મજબૂત કોટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડશે. જો સમુદ્રની અંદર કોઈ લીકેજ અથવા ખામી સર્જાય તો તેનું સમારકામ કરવા માટે ખાસ રોબોટિક સિસ્ટમ અને વિશિષ્ટ જહાજોની જરૂર પડશે.

ભારતને આ પ્રોજેક્ટની જરૂર કેમ?
હાલમાં ભારત દરરોજ આશરે 190 મિલિયન ક્યુબિક મીટર ગેસનો વપરાશ કરે છે. નિષ્ણાતોના અંદાજ મુજબ વર્ષ 2030 સુધી આ માંગ વધીને 365 મિલિયન ક્યુબિક મીટર સુધી પહોંચી શકે છે. ભારત પાસે હાલમાં મોટા પાયે ઇમરજન્સી ગેસ સ્ટોરેજ ઉપલબ્ધ નથી. તેથી લાંબા ગાળે સુરક્ષિત અને સતત ગેસ સપ્લાય માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ભવિષ્યમાં UAE, કતાર અને સાઉદી અરેબિયા પણ જોડાઈ શકે
માહિતી મુજબ ભવિષ્યમાં આ પાઇપલાઇનને સમગ્ર ગલ્ફ ગેસ નેટવર્ક સાથે જોડવાની યોજના છે. જેમાં:
– UAE
– સાઉદી અરેબિયા
– કતાર
જેવા દેશોનો સમાવેશ થઈ શકે છે.

શું CNG અને LPG સસ્તા થશે?
વિશેષજ્ઞોના મતે જો આ પ્રોજેક્ટ સફળ બને તો ભારતમાં CNG અને LPGના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. હાલમાં ગેસને LNGમાં રૂપાંતરિત કરીને જહાજ મારફતે ભારતમાં લાવવામાં આવે છે અને પછી ફરી ગેસમાં ફેરવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં મોટો ખર્ચ થાય છે.

નવી પાઇપલાઇન શરૂ થયા બાદ:
– શિપિંગ ખર્ચ ઘટશે
– LNG પ્રોસેસિંગ ખર્ચમાં ઘટાડો થશે
– સપ્લાય વધુ સ્થિર બનશે
– ભાવમાં વારંવાર વધારાની શક્યતા ઓછી થશે
જેનો સીધો ફાયદો સામાન્ય ગ્રાહકો અને ઉદ્યોગોને મળી શકે છે.

 

 

 

  • Related Posts

    બાંકે બિહારી મંદિર વિવાદમાં SCનો મોટો નિર્ણય, હવે લોકશાહી પદ્ધતિથી પસંદ થશે પ્રતિનિધિઓ

    ભારતની સર્વોચ્ચ અદાલતએ બાંકે બિહારી મંદિરના સંચાલન અને પરંપરાઓને લઈને ચાલી રહેલા વિવાદમાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે હાઈ પાવર કમિટીમાં ગોસ્વામી સમાજના પ્રતિનિધિઓની પસંદગીમાં અધિકારીઓની મનમાની પર રોક લગાવી…

    ઘૂસણખોરી મુદ્દે કેન્દ્ર સરકાર એલર્ટ, હાઇ લેવલ કમિટીની રચના; અમિત શાહે આપી માહિતી

    દેશમાં વધી રહેલા અસામાન્ય વસ્તી પરિવર્તન અને ઘૂસણખોરીના મુદ્દે કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું કે કેન્દ્ર…