AMC વર્લ્ડ બેંકની ₹2700 કરોડની લોન માટે મિલકતો ગિરવી મૂકશે? મોનિટાઇઝેશન સેલ સક્રિય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકતોના મૂલ્યાંકન (Valuation) માટે ખાનગી એજન્સીને ₹3.37 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો; ભૂતકાળમાં હુડકોની લોન માટે સ્ટેડિયમ ગિરવી મુકાયું હતું

પંકજ મકવાણા, અમદાવાદ: અમદાવાદ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાની સુવિધાઓના વિકાસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) વર્લ્ડ બેંક પાસેથી આશરે ₹2700 કરોડની જંગી લોન લેવા જઈ રહ્યું છે. આ લોનની ગેરંટી પેટે મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની સ્થાવર અને જંગમ મિલકતો ગિરવી મૂકે તેવી પ્રબળ શક્યતાઓ મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે કોર્પોરેશને પોતાની તમામ મિલકતોનું પ્રવર્તમાન બજાર મૂલ્ય (Valuation) નક્કી કરવા અને તેમાંથી બિન-પરંપરાગત આવક ઊભી કરવા માટે એક ખાનગી એજન્સીની નિમણૂક કરી છે.

એસેટ મોનિટાઇઝેશન સેલની રચના: ₹3.37 કરોડનો ખર્ચ

વર્લ્ડ બેંકની લોનની શરતો અને ‘અમદાવાદ સિટી રેઝિલિયન્ટ પ્રોજેક્ટ’ની ભલામણોને પગલે AMC દ્વારા ખાસ ‘એસેટ મોનિટાઇઝેશન સેલ’ની સ્થાપના કરવામાં આવી છે. આ સેલ હેઠળ નાણાકીય, કાનૂની, ટેક્સેશન અને અર્બન ટાઉન પ્લાનિંગના નિષ્ણાતો કામ કરશે.

કોર્પોરેશનની મિલકતોનું આધુનિક મૂલ્યાંકન કરવા અને લાંબાગાળાના ભાડાપટ્ટા, વેચાણ, રી-ડેવલપમેન્ટ, PPP ધોરણ અથવા FSI પ્રીમિયમ જેવા મોડલ દ્વારા નોન-ટેક્સ રેવન્યૂ (બિન-કર આવક) વધારવા માટે નાઇટ ફ્રેંક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કન્સલ્ટિંગ એજન્સીને રોકવામાં આવી છે. આ એજન્સીને ₹2.85 કરોડ ફી અને ₹51.45 લાખ GST મળીને કુલ ₹3.37 કરોડ ચૂકવવામાં આવશે.

રાજ્ય સરકારે ગેરંટી હટાવી, AMC પોતે આપશે જામીનગીરી

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈપણ મોટી વૈશ્વિક સંસ્થા લોન આપતા પહેલા મજબૂત ગેરંટી માંગતી હોય છે. અગાઉ આ ₹2700 કરોડની લોન માટે રાજ્ય સરકાર ગેરંટી આપવાની હતી, પરંતુ કોઈ અકળ કારણોસર આ નિર્ણય બદલાયો છે. હવે AMC પોતે જ આ લોનની જામીનગીરી (ગેરંટી) આપશે, જેના કારણે મિલકતોનું વેલ્યુએશન કરાવી તેને ગિરવી મૂકવાની ફરજ પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્લ્ડ બેંકની લોનમાંથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) બનાવવાનું આયોજન હતું, પરંતુ બેંકના આકરા નિયમોને કારણે હવે STP પ્રોજેક્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી પૂર્ણ કરવાનું નક્કી કરાયું છે, જ્યારે માઈક્રોટનલિંગ ગટર લાઈન જેવા પ્રોજેક્ટ વર્લ્ડ બેંકની લોનથી ચાલશે.

ભૂતકાળનું પુનરાવર્તન: અગાઉ ‘સરદાર પટેલ સ્ટેડિયમ’ ગિરવી મુકાયું હતું: આ અંગે એસ્ટેટ-TDO વિભાગના ઉચ્ચ અધિકારીઓ સત્તાવાર રીતે કંઈપણ બોલવાનું ટાળી રહ્યા છે અને આ બાબત કમિશનર કક્ષાની હોવાનું જણાવી રહ્યા છે. જોકે, અન્ય એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે સ્વીકાર્યું હતું કે, વર્ષો પહેલાં જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને ‘હુડકો’ (HUDCO) પાસેથી લોન લીધી હતી, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ ગિરવી મૂકવામાં આવ્યું હતું. આ ઇતિહાસ જોતાં, વર્લ્ડ બેંકની ₹2700 કરોડની લોન સામે મ્યુનિસિપલ પ્રોપર્ટી ગિરવી મુકાય તેવી પૂરેપૂરી સંભાવના છે, જેની ઘણી આકરી શરતો હજુ જાહેર કરવામાં આવી નથી.

 

 

 

  • Related Posts

    અમેરિકા-ઈરાન શાંતિ વાર્તામાં મોટો વિક્ષેપ, ટ્રમ્પના નિવેદન બાદ ઈરાની પ્રતિનિધિમંડળ બેઠક છોડીને નીકળ્યું

    સ્વિટ્ઝર્લૅન્ડના બર્ગનસ્ટોક ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ઉચ્ચ સ્તરીય શાંતિ વાર્તા દરમિયાન અચાનક નાટકીય વળાંક આવ્યો છે. અહેવાલો મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક નિવેદન અને સૈન્ય કાર્યવાહી…

    ક્રિમિયા પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો, 5ના મોત; 28 લોકો ઘાયલ

    રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ક્રિમિયા વિસ્તારમાં યુક્રેન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાઓમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. હુમલાઓ…