માર્ગ અકસ્માતમાં લકવાગ્રસ્ત દીપડાને મળ્યું નવજીવન: GEER ફાઉન્ડેશનની સારવારથી ફરી ચારેય પગે ચાલતો થયો
– > ગુજરાતમાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક આશાસ્પદ ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક દીપડાને GEER ફાઉન્ડેશનની વેટરનરી ટીમે લાંબી અને સઘન સારવાર બાદ ફરી હરતો-ફરતો કરી દીધો છે. કરોડરજ્જુમાં ગંભીર ઈજાને કારણે દીપડો પાછળના બંને પગથી લકવાગ્રસ્ત થઈ ગયો હતો. મહિનાઓ સુધીની વિશેષ સારવાર, સતત દેખરેખ અને પુનર્વસન બાદ તેની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ દીપડાના સફળ બચાવ, સારવાર અને પુનર્વસન બદલ GEER ફાઉન્ડેશનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. આ ઘટના દર્શાવે છે કે સમયસર રેસ્ક્યૂ, આધુનિક નિદાન, નિષ્ણાત વેટરનરી સારવાર અને લાંબા ગાળાના પુનર્વસન દ્વારા ગંભીર રીતે ઇજાગ્રસ્ત વન્યજીવોને પણ જીવનની બીજી તક આપી શકાય છે.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 19 જાન્યુઆરી 2026ના રોજ ખેરંચા-ખોડંબા હાઈવે પર માર્ગ અકસ્માતમાં દીપડો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ વન વિભાગની રેસ્ક્યૂ ટીમે સુરક્ષિત રીતે તેને બચાવી વિભાગીય સુવિધા કેન્દ્રમાં ખસેડ્યો હતો. ત્યાં પશુપાલન વિભાગના વેટરનરી અધિકારીઓ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.દીપડાની સ્થિતિ અત્યંત ગંભીર હતી. તેના પાછળના બંને પગ સંપૂર્ણપણે લકવાગ્રસ્ત થઈ ગયા હતા. તે ઊભો પણ થઈ શકતો નહોતો અને આગળના પગની મદદથી પાછળના શરીરના ભાગને ઘસડતો હતો. તેની ન્યુરોલોજિકલ સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ અદ્યતન તપાસ અને વિશેષ સારવારની જરૂરિયાત જણાઈ હતી.
-> GEER ફાઉન્ડેશનની ટીમે સંભાળી સારવાર : 20 જાન્યુઆરીએ અરવલ્લી વન વિભાગ દ્વારા GEER ફાઉન્ડેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દીપડાને હિંમતનગરના રાજપુર ખાતે કામધેનુ યુનિવર્સિટીના રેફરલ સેન્ટર, ટીચિંગ વેટરનરી ક્લિનિકલ કોમ્પ્લેક્સમાં લઈ જવામાં આવ્યો હતો.ત્યા સાવચેતીપૂર્વક એનેસ્થેશિયા આપીને રેડિયોગ્રાફિક તપાસ કરવામાં આવી હતી. તપાસમાં L7-S1 વિસ્તારમાં ગંભીર ટ્રોમેટિક લંબોસેક્રલ ફ્રેક્ચર-સબલક્સેશન જોવા મળ્યું હતું. આ વિસ્તાર પાછળના પગ, પૂંછડી અને પેલ્વિક ભાગની કામગીરી સાથે જોડાયેલા ચેતાતંતુઓ માટે મહત્વપૂર્ણ હોવાથી દીપડાને ગંભીર લકવો થયો હતો.આ ઉપરાંત દીપડાને નીચલા જડબામાં પણ ગંભીર ઈજા થઈ હતી. તેના મોઢા અને પેઢાની પેશીઓને નુકસાન થયું હતું અને ચેપની સમસ્યા પણ જોવા મળી હતી. શરૂઆતમાં તેને ખોરાક અને પાણી લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી.

-> ખાસ ટ્રીટમેન્ટ કેજમાં રાખી સતત દેખરેખ : GEER ફાઉન્ડેશનના ડેપ્યુટી ડિરેક્ટર અમિત નાયકે જણાવ્યું હતું કે લકવાગ્રસ્ત દીપડાને ગાંધીનગરના ઇન્દ્રોડા નેચર પાર્ક ખાતે લાવવામાં આવ્યો હતો. અહીં તેને ખાસ તૈયાર કરાયેલા ટ્રીટમેન્ટ કેજમાં રાખવામાં આવ્યો હતો.દીપડાને ઓછા તણાવવાળું વાતાવરણ મળે અને માનવીય સંપર્ક શક્ય તેટલો ઓછો રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. વેટરનરી ટીમ દ્વારા દરરોજ તેની સઘન સારવાર કરવામાં આવી હતી.સારવાર દરમિયાન દીપડાની શરીરની યોગ્ય સ્થિતિ જાળવવી, નિયંત્રિત પોઝિશનિંગ, પોષણક્ષમ આહાર, જરૂરી સપ્લિમેન્ટેશન અને હલનચલન પર નિયંત્રણ જેવા પગલાં લેવામાં આવ્યા હતા.
– > થોડા દિવસોમાં દેખાવા લાગ્યા સુધારાના સંકેતો : સારવાર શરૂ થયા બાદ થોડા જ દિવસોમાં દીપડામાં સ્વસ્થ થવાના સંકેતો જોવા મળ્યા હતા. આશરે ત્રણ દિવસમાં તેણે પોતાની ઇચ્છાથી ખોરાક અને પાણી લેવાનું શરૂ કર્યું હતું. પાંચમા દિવસે તેણે સામાન્ય રીતે પેશાબ અને મળત્યાગ કરવાનું શરૂ કર્યું હતું.
એક સપ્તાહની અંદર તેની શક્તિ અને વર્તનમાં સુધારો જોવા મળ્યો. નજીક આવતા કર્મચારીઓ પ્રત્યે તેની આક્રમક અને રક્ષણાત્મક પ્રતિક્રિયાઓ ફરી જોવા મળવી પણ તેની સ્થિતિમાં સુધારાનો મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવ્યો.લગભગ 20 દિવસ બાદ દીપડાએ આગળના પગની મદદથી પોતાના શરીરને ઊંચું કરવાનું શરૂ કર્યું. આશરે 40મા દિવસે તે ચારેય પગ પર ઊભો રહેવામાં સક્ષમ બન્યો. જોકે પાછળના પગ પર સંપૂર્ણ વજન મૂકવામાં હજુ મુશ્કેલી હતી.લગભગ 50મા દિવસે તેની શરીરની મુદ્રા વધુ કુદરતી બનવા લાગી હતી. બે મહિના બાદ તેણે સારવાર માટેના વાડામાં ચાલવાનું શરૂ કર્યું અને અકસ્માત બાદ આશરે બે મહિના અને 15 દિવસમાં તેણે કુદરતી મુદ્રા અને સામાન્ય ચાલ ફરી મેળવી લીધી.
-> સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ પણ જંગલમાં નહીં છોડાય : જંગલમાં દીપડાને શિકાર કરવાની, ઝડપથી હલનચલન કરવાની, પોતાનું ક્ષેત્ર જાળવવાની અને અન્ય જોખમોથી બચવાની ક્ષમતાની જરૂર પડે છે. હાલની સ્થિતિમાં આ તમામ બાબતો તેના માટે પડકારરૂપ બની શકે છે. તેથી નિષ્ણાતોના મૂલ્યાંકન બાદ તેને કુદરતી વાતાવરણને અનુરૂપ સંભાળ સાથે ઇન્દ્રોડા નેચર પાર્કમાં જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.હાલ આ દીપડો ઇન્દ્રોડા નેચર પાર્કમાં નિષ્ણાતોની દેખરેખ હેઠળ છે. અહીં તેને શક્ય તેટલું કુદરતી વાતાવરણ અને જરૂરી આરોગ્યસંભાળ આપવામાં આવી રહી છે.GEER ફાઉન્ડેશનનું વેટરનરી યુનિટ માત્ર ઇન્દ્રોડા નેચર પાર્કના વન્યજીવો માટે જ નહીં, પરંતુ ગાંધીનગર આસપાસના જિલ્લાઓમાં વન્યજીવોના રેસ્ક્યૂ, તાત્કાલિક સારવાર અને પુનર્વસન માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

-> અત્યાધુનિક વાઇલ્ડલાઇફ વેટરનરી હોસ્પિટલ તૈયાર થશે : વન્યજીવોની સારવાર માટેની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા GEER ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા નેચર પાર્ક ખાતે અત્યાધુનિક વાઇલ્ડલાઇફ વેટરનરી હોસ્પિટલ વિકસાવવામાં આવી રહી છે.આ હોસ્પિટલમાં ડિજિટલ રેડિયોગ્રાફી, અલ્ટ્રાસોનોગ્રાફી, સમર્પિત ઓપરેશન થિયેટર, ICU, પેથોલોજી લેબોરેટરી, નવજાત વન્યજીવો માટે કેર યુનિટ, OPD, રિકવરી રૂમ, ફાર્મસી અને રેફરન્સ લાઇબ્રેરી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના છે.આવી સુવિધાઓ ઉભી થવાથી અકસ્માત, ગંભીર ઈજા અથવા અન્ય કટોકટીની પરિસ્થિતિમાં વન્યજીવોને ઝડપથી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર મળી શકશે.
-> 2026માં 10થી વધુ વન્યજીવોને સારવાર : GEER ફાઉન્ડેશનની વેટરનરી ટીમ વર્ષ 2026 દરમિયાન વન્યજીવોના બચાવ, તાત્કાલિક સારવાર અને પુનર્વસનના 10થી વધુ કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરી ચૂકી છે. આ કામગીરીમાં ફિલ્ડ રેસ્ક્યૂથી લઈને નિદાન, સારવાર અને લાંબા ગાળાના પુનર્વસન સુધીની કામગીરીનો સમાવેશ થાય છે.GEER ફાઉન્ડેશનના નિયામક બી.પી. પતી (IFS)ના જણાવ્યા મુજબ, ગંભીર રીતે ઇજાગ્રસ્ત વન્યજીવો માટે સમયસર બચાવ, અદ્યતન નિદાનાત્મક ઇમેજિંગ, વિશેષ વન્યજીવ પશુચિકિત્સા, યોગ્ય સારવાર અને લાંબા ગાળાનું પુનર્વસન અત્યંત મહત્વપૂર્ણ છે.અરવલ્લીમાં અકસ્માતમાં લકવાગ્રસ્ત બનેલા દીપડાની સારવારની આ ઘટના માત્ર એક વન્યજીવના બચાવની કહાની નથી, પરંતુ ગુજરાતમાં વન્યજીવ આરોગ્યસંભાળ અને સંરક્ષણ માટે વિકસતી વ્યવસ્થાનું ઉદાહરણ પણ છે. ગંભીર ઈજા બાદ ફરી ચાલતો થયેલો આ દીપડો હવે ઇન્દ્રોડા નેચર પાર્કમાં નિષ્ણાતોની દેખરેખ હેઠળ જીવન પસાર કરી રહ્યો છે.
- us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAFollow GRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






Comments are closed.