70 લાખથી વધુ વસ્તી ધરાવતા અમદાવાદ શહેરનો સમાવેશ ભારતના મેગાસિટીમાં થાય છે. શહેરની વસ્તી પણ વધી રહી છે. વસ્તી વધવાની સાથે જ શહેરમાં ટ્રાફિક પણ વધી રહ્યો છે. ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે અને શહેરના વિકાસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયત્નશીલ રહ્યું છે. ત્યારે આ જ ક્રમમાં શહેરમાં 5 નવા બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે નવા ઓવરબ્રિજ, અંડરપાસ કે માઇનોર બ્રિજ બનાવવાનું આયોજન છે. એના સિવાય અન્ય 7 સ્થળો પર મોટા ફ્લાય ઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની શકયતા પણ તપાસવામાં આવશે.
અમદાવાદમાં જે સ્થળો પર નવા બ્રિજ બનાવવાનું આયોજન છે, જેમાં ઇસ્કોન જંક્શન, ચાંદલોડિયા સિલ્વર સ્ટાર ચાર રસ્તા, રાજપથ રંગોલી રોડ, પંચવટી સર્કલ અને પીરાણાથી પિપડજ જવાના રસ્તાનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં 5 નવા બ્રિજ બનશે
શહેરમાં 5 નવા બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઇસ્કોન જંક્શન પર 250 કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવશે.ચાંદલોડિયા સિલ્વર સ્ટાર ચાર રસ્તા ખાતે 80 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવાશે. રાજપથ રંગોલી રોડ પર 35 કરોડ રૂપિયાના ખર્ચે અંડર પાસ બનશે. પંચવટી સર્કલ પર 90 કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરાયું. પીરાણાથી પિપડજ જવા માટે 45 કરોડ રૂપિયાના ખર્ચે માઈનોર બ્રિજ બનાવાશે.






