ભારત અને નેપાળ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદી વિવાદને લઈને નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર (બાલેન) શાહે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારત સાથેના તમામ સરહદી પ્રશ્નો રાજદ્વારી વાતચીત અને પરસ્પર સંવાદ દ્વારા જ ઉકેલી શકાય છે. જોકે, તેમણે આ વિવાદમાં યુનાઇટેડ કિંગડમ (બ્રિટન)ને પણ એક હિસ્સેદાર તરીકે જોવાની વાત કરીને ચર્ચા જગાવી છે.
રવિવારે આપેલા નિવેદનમાં શાહે જણાવ્યું હતું કે વર્તમાન સરહદોના નિર્ધારણમાં બ્રિટિશ શાસનકાળની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તેમના મતે, બ્રિટિશ ભારત છોડતી વખતે કેટલીક સરહદી સમસ્યાઓનું સંપૂર્ણ નિરાકરણ લાવવામાં આવ્યું ન હતું, જેના કારણે આ મુદ્દાઓ આજે પણ બંને દેશો વચ્ચે મતભેદનું કારણ બન્યા છે.
તેમણે કહ્યું કે, “જ્યારે બ્રિટિશ શાસકો ભારત છોડી રહ્યા હતા ત્યારે કેટલીક સમસ્યાઓ આગામી પેઢીઓ માટે છોડી દેવામાં આવી હતી. તેથી અમને લાગે છે કે ઇંગ્લેન્ડે પણ આ મુદ્દાઓ અંગે ચિંતિત હોવું જોઈએ.” જોકે, તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તમામ પ્રશ્નો ‘ટેબલ ટોક’ અને રાજદ્વારી પ્રક્રિયા દ્વારા જ ઉકેલવામાં આવશે.
શાહે વધુમાં જણાવ્યું કે ભારત અને નેપાળ વચ્ચે સરહદી મુદ્દાઓ અંગે રાજદ્વારી નોટ્સની આપ-લે થઈ ચૂકી છે. બંને દેશોએ એક રોડમેપ પર સહમતિ દર્શાવી છે, જેના હેઠળ ઇતિહાસકારો, સર્વેયરો અને પ્રાદેશિક નિષ્ણાતોની મદદથી વિવાદિત વિસ્તારોના ઐતિહાસિક અને ભૌગોલિક દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારોને લઈને બંને દેશો વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યા છે. વર્ષ 2020માં નેપાળે પોતાનો સુધારેલો રાજકીય નકશો જાહેર કરીને આ વિસ્તારોને પોતાના પ્રદેશનો ભાગ ગણાવ્યા હતા. ભારતે તે સમયે આ દાવાને નકારી કાઢતાં જણાવ્યું હતું કે નકશામાં ભારતીય ભૂમિનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીજી તરફ, ભારતે પણ તાજેતરમાં ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે તમામ દ્વિપક્ષીય મુદ્દાઓનો ઉકેલ સંવાદ અને કૂટનીતિ દ્વારા જ શોધવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે લિપુલેખ પાસ 1954થી કૈલાશ માનસરોવર યાત્રા માટે ઉપયોગમાં લેવાતો પરંપરાગત માર્ગ છે અને તેમાં કોઈ નવી બાબત નથી.
ભારતનું કહેવું છે કે નેપાળના કેટલાક પ્રાદેશિક દાવાઓ ઐતિહાસિક પુરાવા અને તથ્યો પર આધારિત નથી. ભારતના મતે, એકપક્ષીય અને કૃત્રિમ દાવાઓ સ્વીકાર્ય નથી અને સરહદી મુદ્દાઓનો ઉકેલ બંને દેશો વચ્ચેની સ્થાપિત રાજદ્વારી પ્રક્રિયા દ્વારા જ લાવવામાં આવવો જોઈએ. ભારત અને નેપાળ વચ્ચેના આ સંવેદનશીલ મુદ્દે આગામી સમયમાં બંને દેશોની ચર્ચાઓ અને નિષ્ણાતોની તપાસ પ્રક્રિયા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276




