ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજા આદેશોમાં 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર, સેક્શન ઓફિસર અને વર્ગ-2 કક્ષાના અનેક અધિકારીઓને ઉપ સચિવ વર્ગ-1 લેવલ-10 તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી મેળવનાર અધિકારીઓને ગૃહ, મહેસૂલ, આરોગ્ય, માર્ગ અને મકાન, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી જેવા મહત્વના વિભાગોમાં નવી નિમણૂકો આપવામાં આવી છે.
આ સાથે કેટલાક અધિકારીઓને તેમની હાલની જવાબદારી ઉપરાંત વધારાનો કાર્યભાર પણ સોંપવામાં આવ્યો છે. બીજી તરફ, ઉપ સચિવ વર્ગ-1ના અંદાજે 12 અધિકારીઓની વિવિધ વિભાગોમાં બદલી કરીને નવી જવાબદારીઓ સોંપાઈ છે. રાજ્ય સરકારના આ નિર્ણયને સચિવાલયની કાર્યક્ષમતા વધારવા અને વિભાગીય કામગીરીને વધુ ઝડપી તથા સુવ્યવસ્થિત બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. વહીવટી સ્તરે થયેલા આ ફેરફારો આગામી સમયમાં વિવિધ વિભાગોની કામગીરી પર સીધી અસર કરશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.






