ઈંધણ બચાવવા ગુજરાત સરકારના 11 કડક આદેશ, જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચત અને આત્મનિર્ભરતા અંગે કરાયેલી અપીલ બાદ ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી કચેરીઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ સરકારી અધિકારીઓના પ્રવાસ, વાહનોના ઉપયોગ અને ખરીદી નીતિઓમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે.

– નવી સૂચનાઓ અનુસાર અનિવાર્ય સંજોગો સિવાય અધિકારીઓ માટે વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત જિલ્લા બહારની મુસાફરી પણ શક્ય હોય ત્યાં સુધી ટાળવાની રહેશે અને જરૂરી હોય તો નિયંત્રણ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનાવાઈ છે.

– સરકાર દ્વારા સરકારી બેઠકો અને મિટિંગ્સ માટે વીડિયો કોન્ફરન્સિંગ, ઈ-મેઈલ અને ઓનલાઈન માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવાનો આદેશ અપાયો છે. રાજ્ય બહાર અથવા કેન્દ્ર સરકાર સાથેની બેઠકોમાં પણ ઓનલાઈન રીતે જોડાવા પર ભાર મૂકાયો છે.

– ઈંધણ બચત માટે સરકાર દ્વારા વધારાના સરકારી વાહનો ‘સરકારી વાહન પુલ’માં જમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એકથી વધુ હવાલો સંભાળતા અધિકારીઓએ મુખ્ય વાહન સિવાયના અન્ય વાહનો તાત્કાલિક પરત કરવાના રહેશે. સાથે જ જ્યાં શક્ય હોય ત્યાં ઈલેક્ટ્રિક અથવા હાઈબ્રિડ વાહનોનો ઉપયોગ ફરજિયાત બનાવાયો છે.

– પર્યાવરણને ધ્યાનમાં રાખીને અધિકારીઓ અને કર્મચારીઓને ખાનગી વાહનોના બદલે મેટ્રો, એસ.ટી. બસ અને રેલવે જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

– સરકારે તમામ સરકારી કેન્ટીનોમાં આગામી છ મહિનામાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્ટિવિટી ફરજિયાત કરવાની સૂચના આપી છે. ઉપરાંત તમામ સરકારી ખરીદીમાં સ્વદેશી ઉત્પાદનો, સ્થાનિક MSMEs અને ભારતીય સેવાઓને પ્રાથમિકતા આપવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

– આ સાથે જ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બિનજરૂરી ખરીદી અને સંગ્રહખોરી અટકાવવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવાની સૂચના આપવામાં આવી છે. વિવિધ સરકારી કાર્યક્રમો સાદગીપૂર્ણ રીતે યોજવા અને લોકાર્પણ જેવા કાર્યક્રમો વર્ચ્યુઅલ માધ્યમથી કરવા પર પણ ભાર મૂકાયો છે.

રાજ્ય સરકારના આ તમામ આદેશોનો અમલ તમામ વિભાગો, બોર્ડ-નિગમો, જાહેર સાહસો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને સરકારી યુનિવર્સિટીઓએ ફરજિયાતપણે કરવાનો રહેશે.

 

 

 

 

  • Related Posts

    સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર: 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી

    ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજા આદેશોમાં 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી…

    ગરમી વચ્ચે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, 17 રાજ્યો માટે એલર્ટ જાહેર

    દેશભરમાં એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે તો બીજી તરફ હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને તેજ પવનની ચેતવણી જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ…