અયોધ્યાના રામ મંદિરના દાનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે ઉત્તરાખંડના પ્રસિદ્ધ બદ્રીનાથ ધામમાં પણ ચઢાવાના સંચાલનને લઈને વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર ગેરરીતિના આરોપો વાયરલ થયા બાદ બદ્રી-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ તાત્કાલિક કાર્યવાહી કરતાં કમિટી અધ્યક્ષના પર્સનલ સેક્રેટરી પ્રમોદ નૌટીયાલને સસ્પેન્ડ કરી દીધા છે.
CCTV તપાસમાં સામે આવી ગેરરીતિ
મંદિર સમિતિના જણાવ્યા અનુસાર, 2 જુલાઈ 2026ના રોજ દાનની ગણતરી દરમિયાનના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં આરોપ છે કે પ્રમોદ નૌટીયાલે દાનની થાળીમાંથી કેટલીક વસ્તુઓ પોતાના મોબાઈલ સાથે ગુપ્ત રીતે પોતાની પાસે રાખી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હોવાનું સમિતિએ જણાવ્યું છે.
48 કલાકમાં માંગ્યો ખુલાસો
સમિતિએ આરોપી કર્મચારીને કારણ બતાવો નોટિસ ફટકારી છે અને 48 કલાકમાં લેખિત જવાબ આપવા કહ્યું છે. જો સંતોષકારક જવાબ નહીં મળે તો તેમની સામે કાયદાકીય અને વિભાગીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
4 સભ્યોની તપાસ સમિતિ રચાઈ
BKTCના મુખ્ય કાર્યપાલક અધિકારી (CEO) સોહન સિંહ રાંગડે જણાવ્યું કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે ચાર સભ્યોની તપાસ સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિને સાત દિવસમાં પોતાનો અહેવાલ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
દોષિત સામે કડક કાર્યવાહીનો સંકેત
BKTCના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું કે આરોપી મંદિર સમિતિના નિયમિત કર્મચારી છે. જો તપાસમાં ગેરરીતિ સાબિત થશે તો શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ અધિનિયમ, 1939 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજકીય પ્રતિક્રિયાઓ તેજ
આ સમગ્ર મામલા બાદ ઉત્તરાખંડમાં રાજકીય ચર્ચા પણ તેજ બની છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નિર્દેશ બાદ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ થઈ શકે છે. બીજી તરફ કોંગ્રેસે આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી છે અને વિરોધ નોંધાવ્યો છે. મંદિર સમિતિએ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓથી દૂર રહે અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





