તમિલનાડુમાં સત્તા માટે જોરદાર રાજકીય સંગ્રામ, AIADMKના ધારાસભ્યો રિસોર્ટમાં શિફ્ટ

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં સરકાર રચવાની પ્રક્રિયા વધુ રસપ્રદ અને રાજકીય રીતે ગરમાઈ ગઈ છે. 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલી વિજયની પાર્ટી TVK સરકાર બનાવવાના પ્રયાસોમાં લાગી છે, જ્યારે બીજી તરફ AIADMK એ તેના તમામ 47 ધારાસભ્યોને પુડુચેરીના રિસોર્ટમાં ખસેડી દીધા છે.

હોર્સ ટ્રેડિંગની ભીતિ વચ્ચે રિસોર્ટ પોલિટિક્સ
રાજકીય ગલિયારાઓમાં ચર્ચા છે કે AIADMKના ધારાસભ્યોને પોતાના પક્ષમાં ખેંચવાના પ્રયાસો તેજ બન્યા છે. આ ભંગાણને રોકવા માટે પક્ષે તમામ ધારાસભ્યોને કડક સુરક્ષા વચ્ચે પુડુચેરીના રિસોર્ટમાં રાખ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્યોની હલચલ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને બહારના સંપર્કોને પણ મર્યાદિત કરવામાં આવ્યા છે.

DMK અને AIADMK વચ્ચે ગુપ્ત સમીકરણોની ચર્ચા
રાજ્યની રાજનીતિમાં સૌથી મોટો ચોંકાવનારો મુદ્દો એ છે કે વિજયને સત્તાથી દૂર રાખવા માટે DMK અને AIADMK વચ્ચે પડદા પાછળ ચર્ચાઓ ચાલી રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ચર્ચા એવી છે કે DMK બહારથી ટેકો આપીને AIADMKની સરકાર રચવામાં મદદ કરી શકે છે અને પોતે વિપક્ષમાં બેસી શકે છે. જો આવું બને તો તે તમિલનાડુની રાજનીતિમાં ઐતિહાસિક ઘટનાસમાન માનવામાં આવશે.

વિજય માટે બહુમતીનો આંકડો હજુ દૂર
TVK ને કોંગ્રેસના 5 ધારાસભ્યોના સમર્થન બાદ કુલ આંકડો 112 સુધી પહોંચ્યો છે. જોકે સરકાર બનાવવા માટે જરૂરી 118ના જાદુઈ આંકડાથી પાર્ટી હજુ દૂર છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિજયને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પૂરતું સંખ્યાબળ સાબિત કર્યા વગર સરકાર રચવાનું આમંત્રણ આપી શકાય નહીં. સૂત્રોના જણાવ્યા મુજબ, વિજયે રાજ્યપાલ સાથે બે વખત મુલાકાત કરી હતી, પરંતુ બંને વખત બહુમતીના પૂરતા આંકડા ન હોવાના કારણે સરકાર રચનાની પ્રક્રિયા આગળ વધી શકી નથી.

AIADMK નું કડક વલણ
AIADMK એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ પરિસ્થિતિમાં વિજયની સરકાર બનવા દેશે નહીં. બીજી તરફ કોંગ્રેસ પણ આ મુદ્દે આક્રમક વલણ અપનાવી રહી છે અને રાજ્યપાલની ભૂમિકા સામે સોશિયલ મીડિયા પર ખુલ્લી નારાજગી વ્યક્ત કરી છે. હવે આગામી 24 કલાક તમિલનાડુની રાજનીતિ માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે. રાજ્યમાં નવી રાજકીય ગોઠવણ સર્જાશે કે સત્તા માટેનું સંઘર્ષ વધુ ઉગ્ર બનશે તેના પર સૌની નજર ટકેલી છે.

 

 

  • Related Posts

    તાઇવાનની આસપાસ ચીનની વધતી સૈન્ય ગતિવિધિથી તણાવ વધ્યો, ફાઇટર જેટ્સ અને યુદ્ધજહાજોની તૈનાતી

    ચીન અને તાઇવાન વચ્ચેનો લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં તાઇવાનની આસપાસ ચીનની સૈન્ય ગતિવિધિઓમાં નોંધપાત્ર…

    સમુદ્રમાં ભારતની તાકાત વધી: 3 સ્વદેશી અત્યાધુનિક યુદ્ધજહાજો ભારતીય નૌસેનામાં સામેલ

    ભારતની દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ પગલા હેઠળ ભારતીય નૌસેનામાં ત્રણ નવા સ્વદેશી યુદ્ધજહાજો સામેલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં INS…