સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સુરક્ષા વધારવા માટે વિવિધ દેશોને પોતાના યુદ્ધ જહાજ મોકલવા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા આહ્વાન પર ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે (16 માર્ચ 2026) જણાવ્યું કે, હોર્મુઝ માર્ગ પરથી જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે ભારતીય નૌસેનાના જહાજોની તૈનાતી અંગે અમેરિકા સાથે કોઈ દ્વિપક્ષીય ચર્ચા કરવામાં આવી નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, આ મુદ્દે અનેક દેશો વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ અંગે ભારત માહિતગાર છે, પરંતુ અત્યાર સુધી ભારત અને અમેરિકા વચ્ચે આ બાબતે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી. તેમણે ઉમેર્યું કે ભારત આ મુદ્દે તમામ સંબંધિત પક્ષો સાથે સંવાદ ચાલુ રાખશે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ફાઈનાન્શિયલ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય ધ્વજવાળા જહાજોની અવરજવર માટે ઈરાન સાથે કોઈ વિશેષ લેખિત કરાર કરવામાં આવ્યો નથી. તેમ છતાં બંને દેશો વચ્ચે સતત સંવાદ ચાલતો હોવાને કારણે ભારતીય જહાજોની સુરક્ષિત અવરજવર શક્ય બની રહી છે.
પશ્ચિમ એશિયામાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકાર ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર લાવવા માટે પ્રયાસ કરી રહી છે. સરકાર દ્વારા ભારતીયોને ઈરાનથી સરહદ પાર કરીને આર્મેનિયા પહોંચવાની સલાહ આપવામાં આવી રહી છે, જ્યાંથી તેમને સ્વદેશ પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 550થી વધુ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરવા બદલ વિદેશ મંત્રી એસ. જયશંકરે આર્મેનિયા સરકાર અને ત્યાંના લોકોનો આભાર માન્યો છે.
ઉલ્લેખનીય છે કે 14 માર્ચે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રિટન સહિતના દેશોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પોતાના યુદ્ધ જહાજ મોકલવા અપીલ કરી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખુલ્લી અને સુરક્ષિત બનાવવી જરૂરી છે, નહીં તો અમેરિકા ઈરાનની નૌસેનાના ઠેકાણાઓ પર કાર્યવાહી ચાલુ રાખશે.
બીજી તરફ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું છે કે બ્રિટન કોઈ વ્યાપક યુદ્ધમાં જોડાવા માંગતું નથી અને હાલ મર્યાદિત કાર્યવાહી પર જ વિચાર કરી રહ્યું છે. ચીને પણ યુદ્ધ તાત્કાલિક સમાપ્ત કરવાની અપીલ કરી છે, જ્યારે જાપાન અને દક્ષિણ કોરિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ફ્રાન્સે પણ યુદ્ધ જહાજ મોકલવા અંગે ચાલી રહેલી અફવાઓનું ખંડન કર્યું છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





