ઓમાનના દરિયામાં ગુજરાતનું માલવાહક જહાજ ડૂબ્યું, બે ગુજરાતી ખલાસીઓના મોત, 12નો આબાદ બચાવ

ઓમાનના દરિયામાં ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું એક માલવાહક જહાજ દુર્ઘટનાગ્રસ્ત થતાં બે ગુજરાતી ખલાસીઓના મોત થયા છે. જહાજમાં સવાર કુલ 14 ક્રૂ સભ્યોમાંથી 12 ખલાસીઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. ઘટનાના પગલે સલાયા સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

દુબઈથી જીબુટી જતી વખતે સર્જાઈ દુર્ઘટના
માહિતી અનુસાર, ‘મહેબૂબ એ બુખારી’ નામનું માલવાહક જહાજ (રજિસ્ટ્રેશન નંબર BDI 1415) 3 જુલાઈએ દુબઈથી જનરલ કાર્ગો લઈને આફ્રિકાના જીબુટી બંદર તરફ રવાના થયું હતું. ઓમાનના દરિયાઈ વિસ્તારમાં પહોંચતા જ હવામાન અચાનક ખરાબ બન્યું અને દરિયામાં ભારે તોફાન શરૂ થયું હતું.

બંને એન્જિન બંધ થતાં જહાજ ડૂબ્યું
દરિયામાં ઊંચા મોજાં વચ્ચે જહાજના બંને મુખ્ય એન્જિન અચાનક બંધ થઈ ગયા હતા. ક્રૂ દ્વારા જહાજને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સતત પાણી ભરાવા લાગતાં જહાજ ડૂબવાની સ્થિતિમાં પહોંચી ગયું હતું. પરિસ્થિતિ ગંભીર બનતાં ટંડેલે તમામ 14 ખલાસીઓને જીવ બચાવવા માટે તરત જ દરિયામાં કૂદી પડવાનો આદેશ આપ્યો હતો.

બે ગુજરાતી ખલાસીઓના મોત
ભારે મોજાં અને દરિયાના તીવ્ર પ્રવાહ વચ્ચે બે ખલાસીઓ સમયસર બહાર આવી શક્યા નહોતા અને ડૂબી જવાથી તેમનું મોત થયું હતું. મૃતકોની ઓળખ ગંઢાર યાસીન નૂરમામદ અને ઇમરાન ઇશાક ભાયા તરીકે થઈ છે.

ઓમાન નેવી અને ભારતીય જહાજોએ બચાવ્યા 12 ખલાસી
ઘટનાની જાણ થતાં જ ઓમાન નેવીએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. નજીકમાંથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો ‘અલ હાજી હસન’ અને ‘સફિના અલ નૂરે ઇલાહી’ પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા હતા. સંયુક્ત પ્રયાસોથી 12 ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

મૃતદેહોને વતન લાવવાની કાર્યવાહી શરૂ
હાલ બંને મૃતક ખલાસીઓના મૃતદેહો અને બચાવાયેલા 12 ખલાસીઓને ઓમાનના દુકમ નજીક આવેલી ફિશિંગ જેટી પર રાખવામાં આવ્યા છે. ‘ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિયેશન’ના સેક્રેટરી આદમ ભાયાએ ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલય (MEA)ને સમગ્ર ઘટનાની જાણ કરી છે. મૃતદેહોને વહેલી તકે ભારત લાવવા, બચેલા ખલાસીઓની સુરક્ષિત વતન વાપસી કરાવવા તેમજ જરૂરી કાનૂની અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સહાયની માંગ કરવામાં આવી છે. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ મૃતક ખલાસીઓના પરિવારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે બચાવાયેલા ખલાસીઓની સુરક્ષિત વતન વાપસી માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

 

 

 

 

  • Related Posts

    બિહાર : ભાગલપુરમાં ગંગા નદીમાં 21 શ્રમિકો સાથે બોટ પલટી : 19નો બચાવ, 2 લાપતા

    બિહારના ભાગલપુર જિલ્લામાં બુધવારે ગંગા નદીમાં એક મોટી બોટ દુર્ઘટના સર્જાતા ખળભળાટ મચી ગયો હતો. નવગછિયા વિસ્તારમાં પૂર રાહત અને બચાવ કામગીરી માટે જઈ રહેલા 21 શ્રમિકોને લઈને જળ સંસાધન વિભાગની બોટ અચાનક તેજ પ્રવાહમાં પલટી ગઈ હતી. દુર્ઘટના બાદ રાહત અને બચાવ ટીમો તાત્કાલિક સક્રિય થઈ હતી. અત્યાર સુધીમાં 19 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બે શ્રમિકો હજુ પણ લાપતા છે. SDRFના ગોતાખોરો દ્વારા બંને લાપતા શ્રમિકોની શોધખોળ માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બપોરે 2:30 વાગ્યે બની બોટ દુર્ઘટના મળતી માહિતી પ્રમાણે, નવગછિયાના રાઘોપુર વિસ્તારમાં પાળ તૂટ્યા બાદ પૂર રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી માટે જળ સંસાધન વિભાગ સાથે જોડાયેલા શ્રમિકો બોટ મારફતે અસરગ્રસ્ત વિસ્તારમાં જઈ…

    ઇરાનના તેલને લઈને અમેરિકા-ચીન આમનેસામને, ‘ઇકોનોમિક ડી-ડે’થી વધી શકે છે ટેરિફ વોરની ભીતિ

    અમેરિકા અને ચીન વચ્ચે ઇરાનના તેલના મુદ્દે ફરી એકવાર તણાવ વધી રહ્યો છે. અમેરિકી ટ્રમ્પ વહીવટીતંત્રે ઇરાન સામે આર્થિક દબાણ વધારવા માટે કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ઇરાનની અર્થવ્યવસ્થાને નબળી પાડવા માટે મોટા પાયે નાણાકીય કાર્યવાહી કરવાની વાત કરી છે. બીજી તરફ ચીને અમેરિકાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ચીનની કંપનીઓ અને તેના કાયદેસર આર્થિક હિતોને નિશાન બનાવવામાં આવશે તો બેઇજિંગ પોતાના અધિકારો અને હિતોની રક્ષા માટે જરૂરી તમામ પગલાં લેશે. ચીને અમેરિકાને આપી સીધી ચેતવણી ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને અમેરિકાની નવી પ્રતિબંધ નીતિનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે ચીન ઇરાન સાથેનો સહકાર આંતરરાષ્ટ્રીય કાયદાના માળખામાં રહીને કરે છે અને તેમાં કોઈ બાહ્ય દેશે દખલ ન કરવી જોઈએ.…