કરોડો EPF ખાતાધારકો માટે ખુશખબર: 8.25% વ્યાજદરને મંજૂરી, જૂનમાં ખાતામાં જમા થશે રકમ

દેશના કરોડો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી દેશના 7 કરોડથી વધુ EPFO સભ્યોને સીધો લાભ મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર, વ્યાજની રકમ જૂન મહિનામાં જ સભ્યોના ખાતામાં જમા થવાની શક્યતા છે.

7 કરોડથી વધુ સભ્યોને મળશે લાભ
સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણાં મંત્રાલયે EPFOની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)’ દ્વારા ભલામણ કરાયેલા 8.25 ટકા વ્યાજદરના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વ્યાજની રકમ સીધી જ EPF ખાતાધારકોના ખાતામાં જમા કરવામાં આવશે. દેશભરમાં 7 કરોડથી વધુ સક્રિય EPF સભ્યો આ નિર્ણયનો લાભ મેળવી શકશે. વ્યાજની રકમ જમા થતાં કર્મચારીઓની નિવૃત્તિ બચતમાં નોંધપાત્ર વધારો થશે.

કેવી રીતે થાય છે વ્યાજદરની મંજૂરી?
સામાન્ય રીતે EPFO દ્વારા નક્કી કરાયેલ વ્યાજદરનો પ્રસ્તાવ નાણાં મંત્રાલયને મોકલવામાં આવે છે. મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ શ્રમ અને રોજગાર મંત્રાલય તેને સત્તાવાર રીતે જાહેર કરે છે. ત્યારબાદ EPFO દ્વારા સભ્યોના ખાતામાં વ્યાજની રકમ ક્રેડિટ કરવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ કરોડો ખાતાધારકોને તેમના EPF બેલેન્સમાં વધારાનો લાભ મળશે.

સતત ત્રીજા વર્ષે 8.25% વ્યાજદર યથાવત
ઉલ્લેખનીય છે કે 2 માર્ચ 2026ના રોજ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી CBT બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26 માટે EPF પર 8.25 ટકા વ્યાજદર જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે EPF વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અગાઉના વર્ષોમાં પણ EPF ખાતાધારકોને 8.25 ટકા વ્યાજનો લાભ આપવામાં આવ્યો હતો.

કર્મચારીઓ માટે કેમ મહત્વનો છે આ નિર્ણય?
EPF દેશના સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે સૌથી મહત્વપૂર્ણ નિવૃત્તિ બચત યોજનાઓમાંથી એક છે. વ્યાજદર સ્થિર રહેતા કર્મચારીઓને તેમની લાંબા ગાળાની બચત પર આકર્ષક વળતર મળતું રહેશે. ખાસ કરીને વધતી મોંઘવારી વચ્ચે આ નિર્ણય લાખો પરિવારો માટે નાણાકીય સુરક્ષા મજબૂત બનાવશે.

 

 

 

  • Related Posts

    અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

    વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…

    અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

    રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…