કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ઊંચી સ્તરના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. દિલ્હી સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં આતંકવાદ સામે ભારતના પ્રતિસાદ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે.
સેનાને આપી સંપૂર્ણ સ્વતંત્રતા
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાને બેઠક દરમિયાન સ્પષ્ટતા કરી કે “આતંકવાદ સામે યોગ્ય અને ઠોસ કાર્યવાહી કરવી એ આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે.” તેમણે સેનાને “મૂળભૂત લક્ષ્ય, રીત અને સમય” નક્કી કરવાની સંપૂર્ણ ઓપરેશનલ છૂટ આપી છે. પીએમ મોદીએ ભારતીય સશસ્ત્ર દળોની વ્યાવસાયિક ક્ષમતાઓમાં પોતાનું સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યું.
90 મિનિટ ચાલેલી બેઠકમાં કોણ-કોણ ઉપસ્થિત રહ્યા?
રાજનાથ સિંહ – સંરક્ષણ મંત્રી
અજિત ડોભાલ – રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
જનરલ અનુપ ચૌહાણ – ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી – આર્મી ચીફ
એડમિરલ દિનેશ કે ત્રિપાઠી – નેવી ચીફ
એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ – એરફોર્સ ચીફ
આ બેઠકમાં લગભગ 90 મિનિટ સુધી ચર્ચા ચાલી, જેમાં સુરક્ષા વ્યવસ્થા, ઓપરેશનલ પગલાં અને ભવિષ્યની રણનીતિ પર ઊંડાણપૂર્વક વિચારમંથન થયું.
પહેલગામ હુમલો આ વર્ષનો સૌથી ઘાતક હુમલો
22 એપ્રિલે થયેલા પહેલગામ હુમલામાં પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા અને અનેક ઘાયલ થયા. આ ઘટના પછી સમગ્ર ખીણમાં હાઈ એલર્ટ જાહેર કરાયો છે અને સુરક્ષા દળો દ્રારા કડક કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે.






