મથુરાના પરિક્રમા માર્ગ પર ધડાધડ ફાયરિંગ, 4 લોકોને ગોળી વાગતા મચી નાસભાગ

ઉત્તર પ્રદેશના મથુરાના મહોલી ગામમાં ગુરુવારે જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. વિવાદ એટલો ઉગ્ર બન્યો કે બંને પક્ષોએ જાહેરમાં ઈંટ-પથ્થરો ફેંક્યા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ઘટનાના કારણે પરિક્રમા માર્ગ પર હાજર શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. આ હિંસક ઝઘડામાં અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી ચાર લોકોને ગોળી વાગી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

સેવા કેમ્પમાં કેળા વહેંચવા મુદ્દે શરૂ થયો વિવાદ
મળતી માહિતી મુજબ, ગામના ગુડ્ડી પ્રધાન અને ચંદ્રપાલ વચ્ચે છેલ્લા છ મહિનાથી જૂની અદાવત ચાલી રહી હતી. અગાઉ પણ બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, પરંતુ ગામલોકોએ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો. ગુરુવારે પરિક્રમા દરમિયાન ચંદ્રપાલ પક્ષ દ્વારા શ્રદ્ધાળુઓ માટે પાણીની પરબ અને સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગુડ્ડી પ્રધાનના સમર્થકો પણ ત્યાં કેળા અને અન્ય સામગ્રી વહેંચવા પહોંચ્યા હતા. આ બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ અને જોતજોતામાં મામલો હિંસક બની ગયો.

ખુલ્લેઆમ ફાયરિંગનો વીડિયો વાયરલ
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લોકો ખુલ્લેઆમ હથિયારો લહેરાવતા અને ગોળીબાર કરતા જોવા મળી રહ્યા છે. ગોળીબારમાં ચંદ્રપાલ પક્ષના રવિના પગમાં અને સંજુના છાતીમાં ગોળી વાગી હતી. જ્યારે સામા પક્ષના હરિઓમના માથામાં અને સાવિત્રી નામની મહિલાના હાથમાં ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં સંજુ અને હરિઓમની હાલત ગંભીર હોવાથી તેમને સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઘાયલોની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.

ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસપી સિટી રાજીવ કુમાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ ફોર્સ સાથે ગામમાં પહોંચી ગયા હતા. ગામમાં વધુ તણાવ ન ફેલાય તે માટે વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને અન્ય પુરાવાના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તમામ આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

 

  • Related Posts

    અયોધ્યા રામ મંદિર દાન કેસમાં મોટો વળાંક, SIT વચગાળાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરશે

    અયોધ્યાના શ્રી રામ મંદિર ખાતે ભક્તો દ્વારા અપાતા દાનના સંચાલન અને કથિત ગેરરીતિઓના મામલે તપાસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) આગામી સોમવારે…

    કોરોનાની ફરી એન્ટ્રી? આંધ્ર પ્રદેશમાં 12 નવા કેસ, 4 દર્દીઓના મોત; આરોગ્ય તંત્ર એલર્ટ

    આંધ્ર પ્રદેશમાં ફરી એકવાર કોરોના વાયરસ (કોવિડ-19)ના નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. રાજ્યના આરોગ્ય કમિશનર જી. વીરપાંડિયનના જણાવ્યા અનુસાર, 26 જૂનથી 16 જુલાઈ દરમિયાન રાજ્યમાં કોવિડ-19ના કુલ…